Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ડાયમંડ કિંગ નિરવ મોદી કેસમાં બ્રિટનનું વલણ ચિંતાજનકઃ ભારત લાવવાના પ્રયત્ન ઉપર ફટકો પડવાની સંભાવના

ડાયમંડકિંગ નીરવ મોદી કેસમાં બ્રિટનનું વલણ ચિંતાજનક છે અને તેના પગલાથી ભારતની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે એમ છે. જેથી નીરવ મોદીના ભારત લાવવાના પ્રયત્ન પર ફટકો લાગી શકે એમ છે. બ્રિટિશ ઓથોરિટીએ ભારતીય એજન્સીઓને સૂચિત કરી છે કે, ભારત તરફથી આપવામાં આવેલા દસ્તાવેજોને તેઓ નીરવ મોદી સાથે શેર કરશે તેમજ આ દસ્તાવેજોની ખરાઇ કરશે, આ દસ્તાવેજોમાં સામાન્ય રીતે તપાસની વિગતો અને પુરાવાઓનો સમાવેશ થાય છે.

બ્રિટિશ ઓથોરિટીએ દાવો કર્યો હતો કે, નીરવ મોદીએ પીએનબી કૌભાંડના 13,578 કરોડ રૂપિયા યુકેની બેંકમાં જમા કર્યા નહીં હોય. જોકે, ભારતીય એજન્સીઓએ બ્રિટિશ ઓથોરિટીના આ દાવા પર નારજગી વ્યક્ત કરી છે. આ સાથે જ તપાસ સંબંધીત ડોક્યુમેન્ટ પ્રત્યાર્પણના કેસની સુનાવણી શરૂ થાય એ પહેલા શેર ન કરવા માટે અપીલ કરી છે. જો આ તમામ દસ્તાવેજ નીરવ મોદી સાથે શેર કરવામાં આવશે તો એ તેનો ઉપયોગ પોતાના બચાવ માટે કરે એવી પૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત કોર્ટમાં ખોટા તથ્યો રજૂ કરી શકે છે. ભારતીય એજન્સીઓએ બ્રિટિશ ઓથોરિટીને નીરવ મોદીની ધરપકડ કરવા માટે પણ આગ્રહ કર્યો હતો.

બ્રિટિશ એજન્સી યુકે સિરીયસ ફ્રોડ ઓફિસે પત્ર લખીને ભારતીય એજન્સી પાસેથી નીરવ મોદીના કોભાંડની વિગત માગ હતી. એજન્સીએ ભારતને પૂછ્યું હતું કે, નીરવ મોદીએ કેટલા કરોડનો ગોટાળો કર્યો છે?, ભારતમાં જપ્તની પ્રક્રિયા શું હોય છે?, કૌભાંડ પૈકીની કેટલી રકમ યુકે ટ્રાંસફર કરવામાં આવી છે?, કૌભાંડમાં નીરવ મોદી સિવાય બીજા કેટલા લોકો સંડોવાયેલા છે?, એજન્સીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે યુકેમાં એક એવી પણ જોગવાઇ છે જે અંતર્ગત ભારતના પત્રો કે દસ્તાવેજોને તે નીરવ મોદી સાથે સરળતાથી શેર કરી શકે.

કૌભાંડની રકમ યુકે ટ્રાંસફર કરવાના કેસમાં એજન્સીએ નીરવ મોદીને ક્લિન ચીટ આપી દીધી હોય એવી શક્યતાઓ છે. એજન્સીએ કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે, આ કેસમાં છેત્તરપિંડીની રકમ દુબઈ, હોંગકોંગ અને યુએઈ ટ્રાંસફર કરી દેવામાં આવી છે. પરંતુ, યુકેમાં કંઇ ટ્રાંસફર કરવામાં આવી નથી. શું એવો કોઇ પુરાવો છે કે કૌભાંડની રકમ યુકેને ટ્રાંસફર કરવામાં આવી હોય? જો એવો કોઇ પુરાવો હોય તો તેને બ્રિટિશ એજન્સી સમક્ષ રજૂ કરવામાં આવે.

સમગ્ર કેસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિટનની વાતચીત પરથી લાગે છે કે, લંડનમાં છુપાયેલા નીરવ મોદી સામે બ્રિટન કોઇ કાર્યવાહી કરવા કે કાયદાકીય પગલા લેવા માગતું નથી. એક મહિના પહેલા તે યુકેમાં હોવાની ખાતરી મળી હોવા છતા બ્રિટન ઓથોરિટી દ્વારા તેની કોઇ ધરપકડ કરવામાં આવી ન હતી. આમ નીરવ મોદીની અટકાયત મામલે બ્રિટનનું વલણ નકારાત્મક છે. ભારતીય તપાસ એજન્સીઓ અને બ્રિટિશ એજન્સીઓ સમયાંતરે આ કેસના કેટલાક ડેટા પરસ્પર રજૂ કરે છે. ક્યારેક વિડીયો કોન્ફરંસ દ્વારા સંવાદ પણ કરવામાં આવે છે.

બ્રિટિશ એજન્સી એસએફઓએ માલ્યા સામેના કેસમાં સીબીઆઇ અને ઈડી સાથએ દસ્તાવેજ પણ શેર કરેલા છે. માલ્યા સામેના કેસમાં બ્રિટિશ ઓથોરિટી પોતાની રીતે એક સ્વતંત્ર તપાસ પણ ચલાવી રહી છે. બ્રિટિશ એજન્સીઓનો હેતું વિજય માલ્યા બ્રિટનને માધ્યમ બનાવીને કેટલી રકમ બીજા દેશમાં ટ્રાંસફર કરે છે તે શોધવાનો છે. જોકે, અગાઉ પણ બ્રિટનના ચોપડે વિજય માલ્યાનું નામ આરોપી તરીકે સામે આવી ચૂક્યું છે.

(5:14 pm IST)