Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના સતત વધતા ભાવના કારણે અેવિઅેશન કંપનીઓ ચિંતામાઃ ડોલર સામે રૂપિયો ૭પ ડોલરે પહોંચશે તો અેકાદ અેરલાઇનનો બિઝનેશ બંધ થવાની શક્યતા

મુંબઈ:વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના સતત વધી રહેલા ભાવને કારણે એવિએશન કંપનીઓ ચિંતામાં છે. ડોલર સામે રૂપિયો 75 ડોલરે પહોંચશે તો એકાદ એરલાઇનનો બિઝનેસ બંધ થવાની શક્યતા છે. 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી અને ક્રૂડના ઊંચા ભાવના બેવડા ફટકાને કારણે 2012માં વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ થયું હતું.

આ વખતે સ્થિતિ વધુ ખરાબ છે. એવિએશન સેક્ટરમાં સ્પર્ધા વધી છે અને એરલાઇન્સમાં બજારહિસ્સો મેળવવા પડાપડી થઈ રહી છે. તેમની બેલેન્સશીટ વધુ સમય માટે નુકસાન વેઠી શકે તેમ નથી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ત્રણેય લિસ્ટેડ એરલાઇન્સે નફામાં મોટો ઘટાડો અથવા ખોટ દર્શાવી છે.

ઇન્ડિગોનો નફો 97 ટકા ઘટીને ₹28 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે ₹811 કરોડ હતો. જેટ એરવેઝે 2017-’18માં ₹1,323 કરોડની ખોટ કરી છે, જે અગાઉના વર્ષે ₹53 કરોડનો નફો હતો. સ્પાઇસજેટે પણ અગાઉના વર્ષે ₹175 કરોડના નફા સામે ₹38 કરોડની ખોટ કરી છે.જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરલાઇન્સની ખોટ વધવાની આશંકા છે. જોકે, દિવાળી અને ક્રિસમસને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર થોડો સારો રહેવાનો અંદાજ છે.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર ફરી નબળાઈ દર્શાવી શકે. એનાલિસ્ટના જણાવ્યા અનુસાર ભારતીય ચલણનું મૂલ્ય ડોલર સામે ₹1 ઘટે તો ઇન્ડિગોના ખર્ચમાં દર મહિને ₹20 કરોડનો વધારો થાય છે. કારણ કે એરલાઇનનો મોટા ભાગનો ખર્ચ ડોલરમાં હોય છે. છેલ્લા કેટલાક સમયમાં રૂપિયાના ઘટાડાને કારણે એરલાઇન્સે વાર્ષિક ₹250 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશે.

રૂપિયાનું મૂલ્ય ગયા વર્ષે ₹65ની આસપાસ હતો, જે ઘટીને ડોલર સામે ₹72 સુધી પહોંચ્યું છે. રૂપિયામાં 15 ટકાના ઘસારાને લીધે એરલાઇન્સનો ખર્ચ 11 ટકા વધશે. તેની સામે એરલાઇન્સ હવાઈભાડામાં પાંચ ટકાનો વધારો પણ કરી શકી નથી. એનો અર્થ એ થયો કે, રૂપિયો વર્તમાન સ્તરે રહેશે તો ઇન્ડિગો પર ચાલુ નાણાકીય વર્ષમાં ₹1,700 કરોડનો વધારાનો બોજ પડશે.

એર ઇન્ડિયા, જેટ એરવેઝ, સ્પાઇસજેટ, વિસ્તારા અને એર એશિયા ઇન્ડિયા સહિતની એરલાઇન્સને લગભગ ₹4,000 કરોડનો ફટકો પડી શકે. રૂપિયાનું મૂલ્ય ડોલર સામે 75ના સ્તરે પહોંચે તો ખર્ચબોજનો આંકડો વધીને વાર્ષિક ₹6,000 કરોડે પહોંચશે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે એરલાઇન બિઝનેસનું માર્જિન 3-5 ટકાની રેન્જમાં હોય છે.

જેટ એરવેઝ સહિતની એરલાઇન પર નજર રાખતા ઇકરાના એનાલિસ્ટ કિંજલ શાહે જણાવ્યું હતું કે, “ભારતીય ચલણમાં દર ₹1ના ઘટાડાને કારણે એરલાઇન્સના કાર્યકારી માર્જિનમાં 0.48-0.69 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાશે. કેટલીક એરલાઇન્સ વિદેશી ચલણમાં ઋણ ધરાવે છે. તેને લીધે વ્યાજની ચુકવણીમાં વૃદ્ધિ થશે અને માર્ક-ટુ-માર્કેટ લોસ વધશે.” વિશ્લેષકના જણાવ્યા અનુસાર એરલાઇન્સ માટે હાલની સ્થિતિ 2008ની નાણાકીય કટોકટી જેવો આકાર લઈ રહી છે.

(5:12 pm IST)