Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મધ્યપ્રદેશ : શિવભક્તિની સાથે રાહુલે ચૂંટણીનું ફુંકેલું રણશિંગુ

રાહુલ ગાંધીના ૧૩ કિલોમીટરના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા : ગુજરાત રાજ્ય બાદ મધ્યપ્રદેશમાં પણ સોફ્ટ હિન્દુત્વના રસ્તા ઉપર આગળ વધવા કોંગ્રેસ સુસજ્જ : કાર્યકરોના હાથમાં ગણેશની પ્રતિમાઓ નજરે પડી

ભોપાલ, તા. ૧૭ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટેનું રણશીંગુ આજે ફુંકી દીધું હતું. રાહુલ ગાંધીએ રોડ શો યોજીને તમામને કોંગ્રેસ તરફ ખેંચવાના પ્રયાસ કર્યા હતા. ભોપાલમાં રાહુલ ગાંધીના રોડ શો પહેલા પોસ્ટરોથી કોંગ્રેસના વિસ્તારો ભરચક દેખાયા હતા. કોંગ્રેસ અધ્યક્ષને શિવ ભક્ત તરીકે પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ પોસ્ટરથી ગાયબ દેખાયા હતા. રાહુલ ગાંધીએ પૂજા અર્ચના સાથે રોડ શોની શરૂઆત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા. કાર્યકર્તાઓના હાથમાં ગણેશ પ્રતિમા પણ જોવા મળી હતી. કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટી સોફ્ટ હિન્દુત્વના મામલા પર આગળ વધશે. રાહુલે ભોપાલમાં લાલઘાટીથી દશેરા મેદાન સુધી આશરે ૧૩ કિલોમીટર લાંબા રોડ શો મારફતે માહોલ કોંગ્રેસ તરફથી કરવાના પ્રયાસ કર્યા હતા. રાહુલ ગાંધી બપોરે એક વાગે ભોપાલ પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિંયા પણ પહોંચ્યા હતા. રોડ શોની શરૂઆત પહેલા વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી. શંખનાદ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ગણેશની પ્રતિમા સાથે જે નજરે પડ્યા હતા. રાહુલની યાત્રા પહેલા જ કોંગ્રેસે તમામ જગ્યાઓએ પોસ્ટરો દૂર કરી દીધા હતા અને માત્ર રાહુલ ગાંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોટામાં શિવલિંગ ઉપર જળાભિષેક કરતા રાહુલ નજરે પડ્યા હતા. કેટલાક પોસ્ટરમાં રાહુલ બેકગ્રાઉન્ડમાં કૈલાશ માનસરોવરમાં દેખાઈ રહ્યા હતા. જો કે, પાર્ટીની અંદર પોસ્ટરોમાં દિગ્વિજય ગાયબ રહેતા આની ચર્ચા જોવા મળી હતી. રાહુલ ગાંધીએ રોડશોની શરૂઆત પૂજા અર્ચના સાથે કરી હતી. મધ્યપ્રદેશમાં મુસ્લિમોની વધારે વસ્તી નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને બહુમતિ મતદારોને પ્રભાવિત કરવા માટે હિન્દુત્વના કાર્ડનો ઉપયોગ કરવો પડશે. થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ હરિયાણામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, અમારી પાર્ટીમાં ડીએનએમાં જ બ્રાહ્મણો રહેલા છે. સુરજેવાલઆનું આ નિવેદન સવર્ણોને પ્રભાવિત કરનાર તરીકે ગણવામાં આવે છે. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. રાહુલ ગાંધીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

(12:00 am IST)