Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

દિલ્‍હી એઇમ્‍સમાં સારવાર લઇ રહેલા પૂર્વ રક્ષામંત્રી અરુણ જેટલીની હાલત ગંભીર: દિલ્‍હીના મુખ્‍યમંત્રી કેજરીવાલ હોસ્‍પિટલે ગયા

નવી દિલ્હી : ભાજપના નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત ઘણી નાજુક બનેલી છે. પક્ષ અને વિપક્ષના નેતા સતત દિલ્હી એઇમસમાં તેમના ખબર-અંતર પૂછવા પહોંચી રહ્યા છે. અરુણ જેટલીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તેમને જોવા એઇમ્સ પહોંચ્યા. કેજરીવાલે જેટલીના પરિજનો સાથે હાલચાલ પૂછ્યા.

અરૂણ જેટલીને 9 ઓગસ્ટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. સારવારની સાથે જ તેમના માટે સમગ્ર દેશમાં પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. શનિવારે અરુણ જેટલી વહેલા સ્વસ્થ થઈ જાય તે માટે હવન કરવામાં આવ્યો હતો.

શનિવારે એઇમ્સના ડોક્ટરોએ અરૂણ જેટલીની બગડતી સ્થિતિ જોઈને તેમને વેન્ટિલેટરથી હટાવીને ઇસીએમઓ એટલે કે એક્સટ્રાકોર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજિનેશન(Extracorporeal membrane oxygenation)ઉપર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

અરુણ જેટલીની તબિયત જાણવા એઇમ્સમાં ઘણા નેતાઓ પહોંચ્યા હતા. શનિવાર સવારે ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટીની પ્રમુખ માયાવતી તેમને મળવા પહોંચી હતી. આ પહેલા શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની ખબર અંતર પૂછવા એઇમ્સ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટથી અરૂણ જેટલી એઇમ્સમાં સારવાર હેઠળ છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

નોંધનીય છે કે, જેટલી વ્યવસાયે વકીલ છે અને તે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે.

પોતાની નાદુરસ્ત તબીયતના કારણે જ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તે ડાયાબિટિસની પીડિત હતા. પોતાના વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

(3:59 pm IST)