Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

શિવસેના ભવન વિવાદ મામલે સંજય રાઉતનું નિવેદન

અમે 'પ્રમાણિત' ગુંડા છીએ : સર્ટિફીકેટની જરૂર નથી

મુંબઈ,તા.૧૮ :  અયોધ્યામાં ભૂમિ ડીલ વિવાદ અંગે શિવસેનાના મુખપત્ર 'સામના'ના કથિત 'અપમાનજનક' ટિપ્પણીઓ વિરુદ્ઘ ભાજપની યુવા શાખાએ વિરોધ માર્ચ કાઢી, ત્યારબાદ મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા શિવસેના ભવન બહાર ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ ગઈ. આ ઘર્ષણ પર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે  પલટવાર કર્યો અને કહ્યું કે હિન્દુત્વની વાત આવે ત્યારે અમે પ્રમાણિત ગુંડા છીએ.

સંજય રાઉતે કહ્યું કે મુંબઈમાં શિવસેના ભવન એક રાજનીતિક પક્ષનું મુખ્યાલય જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ઓળખનું પ્રતિક છે અને કોઈએ પણ તેની તરફ ખરાબ દ્રષ્ટિ નાખવાનું દુૅંસાહસ કરવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે 'કોઇએ અમને ગુંડા હોવાનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી, અમે પ્રમાણિત છીએ. જયારે મરાઠી ગૌરવ અને હિન્દુત્વની વાત આવે ત્યારે અમે પ્રમાણિત ગુંડા છીએ.'

શિવસેના નેતા સંજય રાઉતે વધુમાં કહ્યું કે 'બાબાસાહેબ શિવસેના ભવનમાં બેસતા હતા. જો કોઈ શિવસેના ભવનને ટાર્ગેટ કરશે તો અમે જવાબ આપીશું. જો તેને ગુંડાગીરી કહેવાય તો અમે ગુંડા છીએ.' તેમણે કહ્યું કે 'શિવસેના ભવન મરાઠી અને મહારાષ્ટ્રનું પ્રતિક છે. જો કોઈ પરિસર પર હુમલાનો પ્રયત્ન કરશે તો શું મરાઠી માનુસ અને શિવસૈનિકો ચૂપ બેસશે?'

શિવસેનાએ કહ્યું કે તેમને સૂચના મળી હતીકે ભાજપના કાર્યકરો પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરવા માટે આવી રહ્યા છે.ે શિવસેના વિધાયક સદા સવર્ણકરના હવાલે કહ્યું કે 'અમને પહેલા જણાવી દેવાયું હતું કે ભાજપ કાર્યકરો વિરોધ કરવા આવી રહ્યા છે. બાદમાં અમને ખબર પડી કે તેઓ સેના ભવનમાં તોડફોડ કરવા આવી રહ્યા છે. આથી અમે તેમને તેની પાસે પહોંચતા પહેલા જ રોકી દીધા.'

સંજય રાઉતે કહ્યું કે 'ભાજપા આટલી આવેશમાં કેમ આવી ગઈ? સંપાદકીયમાં આખરે એવું તે શું હતું? તેમાં આરોપો પર ફકત સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું અને કહેવાયું હતું કે આરોપ ખોટા નીકળે તો આરોપ લગાવનારાઓને સજા મળવી જોઈએ. આ દેશમાં સ્પષ્ટીકરણ માંગવું ગુનો થઈ ગયો? સંપાદકીયમાં કયાંય પણ એવું નથી કહેવાયું કે તેમાં ભાજપ સામેલ છે. શું તમે ભણેલા ગણેલા નથી.'

(10:22 am IST)