Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર સારૂં કામ કરી રહી છે, હાલમાં દિલ્હીમાં જે થઇ રહ્યું છે તે લોકતંત્ર માટે સારૂં નથીઃ કેજરીવાલના આંદોલનને ઉદ્ધવ ઠાકરેનું સમર્થન

નવી દિલ્હીઃ‌ દિલ્હીના કેજરીવાલ સરકાર દ્વારા છેલ્લા આઠ દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીની આ ચળવળને શિવસેનાએ ટેકો આપ્યો છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા આઠ દિવસથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આવાસ પર ધરણા પર બેઠા છે. દિલ્હી સરકાર આઇએએસ અધિકારીની હડતાલ આટોપી લેવા માટે તેમજ કેન્દ્ર પાસેથી દિલ્હી સરકારના ગરીબોના ઘરેઘરે જઈને રેશન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની ડિમાન્ડ કરી રહી છે. આ મામલામાં આમ આદમી પાર્ટીને તૃણમુલના વડ઼ા મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ તેમજ કેરળના મુખ્યમંત્રી પી વિજયન તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીએ મહત્વનો ટેકો આપ્યો છે. 

કેજરીવાલને હવે મહારાષ્ટ્રમાં બીજેપીની સહયોગી શિવસેનાએ પણ સમર્થન આપી દીધું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલની આ ચળવળ પોતાની રીતે અનોખી છે. સંજય રાઉતે કહ્યું છે કે આ મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતે અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી છે.  સંજય રાઉતે માહિતી આપતા કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેના મત પ્રમાણે કેજરીવાલ દિલ્હી માટે સારું કામ કરી રહ્યા છે. કેજરીવાલની સરકાર દિલ્હીની ચૂંટાયેલી સરકાર છે અને હાલમાં દિલ્હીમાં જે થઈ રહ્યું છે એ લોકતંત્ર માટે સારું નથી. 

શિવસેના સિવાય ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહા પણ પોતાનું સમર્થન કેજરીવાલને આપી ચૂક્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ''કેજરીવાલે નિશ્ચિત રીતે રાજકીય પરિપકવતા દર્શાવી છે અને અધિકારીઓને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. આશા છે કે આ તથાકથિત હડતાલ હવે આટોપી લેવાશે. દિલ્હી અને લોકતંત્ર માટે આ એક સારું પગલું હશે. હજારો માઇલનો પ્રવાસ એક પગલાથી શરૂ થતો હોય છે.''

(6:35 pm IST)