Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પાલઘર જિલ્લાના ગ્રામવાસીઓએ બુલેટ ટ્રેન માટે ‘હા’ કહેતા પહેલા પ્રાથમિક સુવિધાની કરી માંગણી

તળાવ, એમ્બ્યુલન્સ સેવાઓ, સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઈટ અને ચિકિત્સકીય સુવિધાઓ માટે માંગણી

મોદી સરકારની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનની યોજના માટે હા પાડતા પહેલા પાલઘર જિલ્લાના લોકોએ કેટલીક સુવિધાઓ માંગી છે. અધિકારીઓના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામવાસીઓએ તળાવ, એમ્બ્યુલન્સ સેવાઓ, સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઈટ અને ચિકિત્સકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે.

  ગ્રામજનોનો વિરોધ ખતમ કરવાની આશામાં આ યોજનાને લાગુ કરનાર કેન્દ્રિય એજન્સી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ)એ પોતાની રણનીતિમાં સુધારો કરીને મોટાભાગની શરતો માનવા તૈયાર થઈ ગયું છે. જેથી 2022 સુધી બુલેટ ટ્રેન ચલાવવાના ટાર્ગેટને પહોંચી શકાય.

  જનસંપર્ક કાર્યક્રમો દ્વારા વધારે પ્રગતિ નહિ કરવાની સ્થિતિમાં એનએચઆરસીએલે પોતાના વલણમાં બદલાવ કર્યો છે. તેઓ પ્રત્યેક જમીનદાર પાસે જઈને તેમની માંગ સાંભળવાની સાથે જ યોગ્ય વળતર પણ આપવાની વાત કરી રહ્યાં છે. એનએચઆરસીએલને 23 ગામમાં ખૂબ વિરોધ સહન કરવો પડ્યો છે.

   એનએચઆરસીએલના પ્રવક્તા ધનંજય કુમારે જણાવ્યું કે,’અમે પોતાના વલણમાં બદલાવ કર્યા છે. પહેલા અમે ગામના ચોકમાં લોકોને એકઠા કરીને મનાવવાની કોશિશ કરી રહ્યાં હતાં કે આ યોજના સારા કામ માટે છે. જોકે, કારગર નીવડી નહોતી. આથી અમે નક્કી કર્યું છે કે અમે હવે જમીનદારો પાસે જઈશું અને જમીન ઉપરાંત ગામલોકો કઈ સુવિધા ઈચ્છે છે તે સરપંચ પાસેથી લેખિતમાં લઈશું.

508 કિ.મી લાંબી ટ્રેનમાંથી આશરે 110 કિલોમીટર જેટલો વિસ્તાર પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. આ યોજના માટે 73 ગામની 300 હેક્ટર જમીનની જરુર પડશે. જે આ રસ્તા પર આવતા આશરે 3,000 લોકોને પ્રભાવિત કરશે. પાલઘર જિલ્લાના આદિવાસી અને ફળ ઉત્પાદક આ પરિયોજનાનો ખૂબ જ વિરોધ કરી રહ્યાં છે.

   જોકે, એનએચઆરસીએલ હવે ધીરે ધીરે ગામલોકોની કેટલીક જરુરિયાતોને ધ્યાનમાં રાખીને વસ્તુઓ પોતાના પક્ષમાં કરી રહ્યાં છે. જેમાંથી મોટાભાગની વસ્તુઓ તેમની પર્સનલ જરુરિયાતો નહિ પરંતુ સમુદાયની મૂળભૂત સુવિધાઓ સાથે જોડાયેલી છે. જેમ કે, એમ્બ્યુલન્સ અને સ્ટ્રીટલાઈટ. બુલેટ ટ્રેન ગુજરાત તેમજ મહારાષ્ટ્ર ઉપરાંત હાઈ સ્પીડ રેલ કોરિડોર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પણ પસાર થશે.

(8:47 am IST)