Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગૌમૂત્ર પીવાથી નથી થતું ઇન્ફેકશન : હું પીઉં છું એટલા માટે મને નથી થયો કોરોના : પ્રજ્ઞા ઠાકુર

ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે 'ગૌમૂત્ર પીવાથી ફેફસાનો ચેપ દૂર થાય છે'

ભોપાલ તા. ૧૮ : પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા ભોપાલથી બીજેપીના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરએ હવે કોરોના વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દરરોજ ગૌમૂત્ર અર્ક લેવાથી ફેફસાંને ચેપ લાગતો નથી.

ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે 'ગૌમૂત્ર પીવાથી ફેફસાનો ચેપ દૂર થાય છે. હું જાતે જ ગૌમૂત્રનો અર્ક લઉં છું અને તેથી મારે હજી સુધી કોરોના માટે કોઈ દવા લેવી પડી નથી અને હજી સુધી કોરોના પણ થયો નથી.'

આ સાથે ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર કોરોના સમયગાળા દરમિયાન ગાયબ થયા હોવાનો આરોપ લગાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે 'કેટલાક લોકો મારા ગુમ થવાની વાત કરી રહ્યા છે. તેઓ મારા પર ઈનામ જાહેર કરી રહ્યા છે. આ લોકો બંધારણીય ગુનાઓ કરી રહ્યા છે, તેમને માફ કરી શકાશે નહીં.'

ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે ગુનેગારોને શિક્ષા આપવાનું કામ ભગવાનનું છે. મેં પ્રચાર નથી કર્યો અને સોશિયલ મીડિયા પર ફોટા નથી મૂકયા શું તે મારો ગુનો છે. મારો સ્ટાફ સતત લોકોને મદદ કરી રહ્યો છે અને હું બીમાર છું તેથી તેમની સાથે હું ફોન પર સતત સંપર્કમાં રહું છું.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે 'હું બીમાર છું પણ મારા ઓફિસના કર્મચારીઓને ફોન પર માર્ગદર્શન આપીને સતત કામ કરાવ્યું છે. મેં પ્રચાર કર્યો નથી અને વોટ્સએપ, સોશિયલ મીડિયા, ફેસબુક પર ફોટો મૂકયો નથી, તે મારો ગુનો હતો.'

(10:32 am IST)