Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મુસ્લિમ વોટ છેલ્લી ઘડીએ કોંગ્રેસ તરફ શિફ્ટ થયા છે

અરવિંદ કેજરીવાલના નિવેદનમાં સ્પષ્ટપણે નિરાશા દેખાઈ : ઇન્દિરા ગાંધીની જેમ જ પીએસઓ તેમની ક્રૂર હત્યા કરી શકે છે તેવા અરવિંદ કેજરીવાલનો સનસનાટીપૂર્ણ દાવો

નવી દિલ્હી, તા. ૧૮ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સનસનાટીપૂર્ણ દાવો કરતા પોતાના પીએસઓથી જ જાનનો ખતરો હોવાનો ધડાકો કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, આસપાસમાં જે પોલીસવાળા સુરક્ષા માટે ચાલી રહ્યા છે તે તમામ ભાજપને રિપોર્ટ કરે છે. આમ આદમી પાર્ટીના નેતા દ્વારા એક અગ્રણી અખબારને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના પીએસઓ દ્વારા ભાજપને રિપોર્ટ કરવામાં આવે છે. આ લોકો ભાજપવાળા ઇન્દિરા ગાંધીની જેમ જ તેમના પીએસઓથી તેમની હત્યા કરાવી શકે છે. તેમની લાઇફ બે મિનિટની અંદર ખતમ થઇ શકે છે. આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે અરવિંદ કેજરીવાલે આ પ્રકારની આશંકા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૧૬માં પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની હત્યા કરાવી શકે છે. કેજરીવાલના આ દાવામાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન કર્યું છે. ભારદ્વાજે કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી બની ગયા બાદ તેમના ઉપર પોલીસની ઉપસ્થિતિમાં છ વખત હુમલા કરવામાં આવી ચુક્યા છે. આવી ઘટનાઓ બની ગયા બાદ પણ કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. અમે દિલ્હી પોલીસ ઉપર વિશ્વાસ કરી શકતા નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી કહ્યું હતું કે, પાટનગરમાં અમે તમામ સાતેય સીટો જીતવાની સ્થિતિમાં હતા પરંતુ છેલ્લી ઘડીએ મુસ્લિમ મતો કોંગ્રેસ પાર્ટીને જતાં રહ્યા છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, મતદાનથી ૪૮ કલાક પહેલા જ લાગી રહ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાતે સાત સીટો જીતી લેશે પરંતુ મુસ્લિમ મતદારો કોંગ્રેસ તરફ શિફ્ટ થયા છે. અમે આ બાબત પણ જાણવાના પ્રયાસ કરી રહ્યા છે કે, હકીકતમાં શું સ્થિતિ સર્જાઈ છે. કેજરીવાલે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ પ્રમાણમાં સારી દેખાઈ રહી છે. બીજી બાજુ મુસ્લિમ સમુદાયના મતોને લઇને કેજરીવાલનું નિવેદન આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મમુખ્યમંત્રી શિલા દિક્ષીતે કહ્યું છે કે, કેજરીવાલ શું કહેવા માંગે છે તે અંગે તેમને કોઇ વાત સમજાતી નથી. નાગરિકોને કોઇપણ પાર્ટીની તરફેણમાં મતદાન કરવાનો અધિકાર છે. એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલના ગવર્નન્સ મોડેલ પણ સમજી શકતા નથી અને તેમને પસંદ કરતા નથી. કેજરીવાલનું કહેવું છે કે, હવે કોને કેટલી સીટો મળશે તેના પર તેઓ વાત કરવાની સ્થિતિમાં નથી. દિલ્હીમાં લોકસભાની સાત સીટ ઉપર ૧૨મી મેના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. દિલ્હીમાં ૬૦.૬૧ ટકા મતદાન થયું હતું. અલબત્ત ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં પાંચ ટકા ઓછુ મતદાન થયું છે. ૨૦૧૪ પહેલાની ચૂંટણીમાં ૬૫.૧ ટકા મતદાન થયું હતું. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે તેમ માનવામાં આવી રહ્યું હતું. કેજરીવાલ હાલ નિસહાય દેખાયા છે.

 

(7:18 pm IST)