Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

૯૫ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૬ ટકાથી વધુ મતદાન બાદ સસ્પેન્સ

૧૨ રાજ્યોને આવરી લેતી ૯૫ સીટો ઉપર એકંદરે ૬૬ ટકા જેટલું મતદાન : ૧૫.૮ કરોડ મતદારો પૈકીના મોટા ભાગના મતદારો દ્વારા મતદાન થયુમતદાનની સાથે૧૬૩૫ ઉમેદવારોના ભાવિ સીલ થયા : ઉત્તરપ્રદેશમાં ૬૨, કર્ણાટકમાં ૬૧, બિહારમાં ૬૨, મહારાષ્ટ્રમાં ૫૭ ટકાથી વધુ મતદાન રહ્યું

નવીદિલ્હી,તા. ૧૮  :  ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે ૧૧ રાજ્યો અને કેન્દ્રિત શાસિત પ્રદેશને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૬ ટકાથી વધુ મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૬૬ ટકાથી વધુ મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. આજે ૧૫.૮૦ કરોડ મતદારો પૈકી ૬૬ ટકા મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. આજના મતદાનની સાથે જ ૧૬૩૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ચૂંટણી પંચે માહિતી આપતા સાંજે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કામાં ૬૨, કર્ણાટકમાં ૬૧, બિહારમાં ૬૨થી વધારે મતદાન થયું હતું. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૫૮ ટકાથી વધારે મતદાન નોંધાયું હતું. તમિળનાડુમાં થેની લોકસભા મતવિસ્તારમાં ૬૫ ટકાથી વધારે મતદાન થયું હતું. આવી જ રીતે કર્ણાટકમાં૬૧.૮૦ ટકાથી વધારે મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં ૪૩.૩૭ ટકા, બંગાળમાં ૭૫ ટકાથી વધારે મતદાન થયું હતું. મતદાનની ટકાવારીમાં હજુ પણ ફેરફાર થઇ શકે છે. તમામ મોટા માથાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અગાઉ સવારે ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશ પોન્ડીચેરીને આવરી લેતી ૯૫ સીટ પર મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ હતી. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે ૯૧ સીટ પર મતદાન થયા બાદ આજે બીજા તબક્કામાં વધુ ૯૫ સીટ પર મતદાન થયું હતું. આની સાથે જ બે તબક્કામાં ૧૮૬ બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે.  સવારમાં મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ શરૂમાં જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હેમામાલિની, ફારૂખ અબ્દુલ્લા સહિત કુલ ૧૬૩૫ ઉમેદવારોન ભાવિ આજના મતદાનની સાથે જ સીલ થઇ ગયા હતા. કોઇ પણ પ્રકારની અંધાધુંધી ન થાય અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તમામ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રિય સુરક્ષા દળની ૮૦ કંપનીઓ તૈનાત કરવામા ંઆવી હતી. તમામ સીટો પર સવારે સાત વાગ્યા મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. તમામ જગ્યાએ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. છત્તિસગઢમાં નક્સલવાદીગ્રસ્ત કેટલીક સીટ પર સવારે સાત વાગે મતદાન શરૂ થયા બાદ ત્રણ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. ઓરિસ્સાની કેટલીક સીટ પર ચાર વાગ્યા સુધી મતદાન થયુ હતું. બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી ગઇકાલે બુધવારના દિવસે જ કરી લેવામાં આવી હતી. ચૂંટણી સાથે સંબંધિત તમામ સામગ્રી મતદાન મથકો પર ગઇકાલે જ પહોંચી ગઇ હતી. સુરક્ષા પણ પહેલાથી જ ગોઠવી દેવામાં આવી હતી. મતદાન શરૂ થયા બાદ મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાયો હતો. બીજા તબક્કામાં જે રાજ્યોમાં આજે મતદાન થયું હતું તેમાં તમિળનાડુમાં સૌથી વધારે ૩૮ સીટો પર મતદાન થયું હતું. ઉપરાંત કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૦, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થયું હતું.  આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થયું હતું.  જમ્મુ કાશ્મીરમાં બે, મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણી માટે  પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો. બીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ,  તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી. બીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાનની શરૂઆત થયા બાદ અનેક મોટા માથાના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. જે દિગ્ગજના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા તેમાં કેન્દ્રિય પ્રધાન જુઆલ ઓરમ, સદાનંદ ગૌડા, રાધાકૃષ્ણન, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, ભાજપના હેમા માલિની, ડીએમકેના દયાનિધી મારન, કાનીમોઝી અને એ રાજાનો સમાવેશ થાય છે. ઓરિસ્સામાં લોકસભાની પાંચ સીટોની સાથે ૩૫ વિધાનસભા સીટ માટે પણ મતદાન થઇ રહ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થઇ ચુક્યુ છે. આજે બીજા તબક્કામાં મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ.   બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થઇ રહ્યુ છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે  તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.  જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે.  ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે.

(9:41 pm IST)