Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચૂંટણીમાં મહાભારતના પાત્રોના નામવાળા મતદારોની સંખ્યા લાખોમાં

'ચૂંટણી મહાભારત'... ૬ લાખ કૃષ્ણ : ૯ લાખ અર્જુન કરશે મતદાન

સૌથી યુવા ધૃતરાષ્ટ્ર ૫.બંગાળમાં: ૨૯.૮૩ લાખ ગીતા, ૨૦.૦૯ લાખ ભીમ, ૩૨૬ શકુની પણ કરશે મતદાન

ગોરખપુર, તા. ૧૮ :. લોકસભા ચૂંટણીની વાતો હાલમાં ચરમસીમા પર છે. ગામના પાદરથી માંડીને શહેરની ઉંચી અટારીઓ સુધી રાજકીય નફા-નુકશાનની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે શકય છે કે મતદાનની લાઈનમાં તમારી આજુબાજુ શકુની, શિખંડી, ગાંધારી કે પૂતના ઉભા હોય. એટલું જ નહીં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન અને ઘટોડકચ પણ મતદાન કરવા આવશે.

ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, આ વખતે મહાભારતના પાત્રોના નામવાળા મતદારો લાખોની સંખ્યામાં છે. તેના અનુસાર ૬.૪૪ લાખ કૃષ્ણ પોતપોતાના વિસ્તારમાં મતદાન કરશે તો લગભગ ૩૦ લાખ ગીતા પણ મતદાન કરવા ઘરની બહાર નીકળશે. શાંતનુ, ભીષ્મ, વિચિત્રવિર્યની સાથે ધૃતરાષ્ટ્ર અને પાંડુ પર પણ સરકાર ચૂંટવાની જવાબદારી છે. દુનિયાના પહેલા લાઈવ કોમેન્ટ્રેટર સંજયનું નામ ધરાવતા ૨૬ લાખ મતદારો છે તો ૭૫ ધૃતરાષ્ટ્ર પણ મતદાર યાદીમાં છે.

એમ તો ગાંધારી, દુર્યોધન અને દુશાસન જેવા પાત્રો ઉપરાંત જયદ્રથ અને અશ્વત્થામાના નામ પણ મતદારયાદીમાં છે. તેમની સાથે વિદુર અને કર્ણ પણ ઈવીએમનુ બટન દબાવવા પહોંચવાના છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ પાંડવોના નામ તેમના કરતા ઘણા વધારે છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવની સાથે સાથે કુંતી અને દ્રૌપદી પણ મતદાર છે.

મહાભારતના રચનાકાર વેદવ્યાસની સંખ્યા ૧૬૮૫ છે તો ૨૬૫ મહાભારત નામના મતદારો પણ છે. દેશભરમાં મતદાર યાદીમાં ૩૨૬ શકુની અને ૪૧ શિખંડીઓ છે. ગાંધારીની સંખ્યા ૧ હજારથી વધારે છે. યુપીના આંબેડકરનગરમાં એક ઘટોત્કચ છે તો ધોસી બેઠકમાં શાંતનું પણ છે. પશ્ચિમ બંગાળના મંડલા જીલ્લામાં રહેતા સૌથી યુવાન (૧૮ વર્ષ)ના ધૃતરાષ્ટ્ર પણ છે.

મહાભારતમાં કૃષ્ણ અને મથુરાનો ઉલ્લેખ તો વાજબી છે. હાલમાં મથુરાની મતદાર યાદીમાં રાધાની સંખ્યા ૮૮૪૨ છે. જ્યારે કૃષ્ણની સંખ્યા તેનાથી અડધાથી પણ ઓછી એટલે કે ૩૨૪૭ છે જ્યારે દેવકી અને યશોદાની સંખ્યા લગભગ સરખી છે. તેમની સંખ્યા ૧૧૨૭ અને ૧૧૨૮ છે.

હરિયાણામાં કુરૂક્ષેત્ર લોકસભા બેઠકની મતદાર યાદીમાં ૩૭૨૨ કૃષ્ણ, ૩૧ પાર્થ અને ૩૦૨૯ ગીતા છે. મહાભારતના સમયમાં હસ્તિનાપુરમાં રહેતા સંજયની સંખ્યા કુરૂક્ષેત્રની મતદાર યાદીમાં ૧૫૬૯ છે. અહીં ૨ દુર્યોધન અને ૧ દુશાસન પણ છે પરંતુ અહીં જયદ્રથ અને અશ્વત્થામા એક પણ નથી. ૫૦ અભિમન્યુ અહીં પોતાના મતદાનથી ચૂંટણીનો ચક્રવ્યુહ તોડવાનો પ્રયત્ન કરશે, પરંતુ  અહીં દ્રોણાચાર્ય એક પણ નથી.(૨-૩)

મતદાર યાદીમાં ગીતા સૌથી આગળ

ગીતા - ૨૯,૮૩,૮૮૭

સંજય - ૨૬,૦૭,૫૧૧

અર્જુન - ૯,૦૨,૦૭૧

કૃષ્ણ - ૬,૪૩,૯૧૬

ભીમ - ૨,૦૯,૪૩૧

દ્રૌપદી - ૯૫,૯૬૬

શાંતનુ - ૯૧,૨૭૧

દુર્યોધન - ૬૨,૩૧૧

ભીષ્મ - ૨૩,૨૫૩

યુધિષ્ઠિર - ૧૬,૨૨૫

ગાંધારી - ૧૦,૫૯૩

દ્રોણાચાર્ય - ૧૪૨૨

શકુની - ૩૨૬

ધૃતરાષ્ટ્ર - ૭૫

(12:10 pm IST)