Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જાતિના સમીકરણો બેસાડવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા

અશોક ગહેલોતે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું : ૨૦૧૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાતિ સમીકરણના ઉદ્દેશ્યની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા

જયપુર,તા. ૧૭ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ આજે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. અશોક ગહેલોતે નિવેદન કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાતિ સમીકરણ બેસાડવાના હેતુસર રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાતચીત કરતા અશોક ગહેલોતે કહ્યું હતું કે, લોકો તો એમ પણ કહે છે કે, રામનાથ કોવિંદને ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તેઓ એક લેખ વાંચી રહ્યા હતા. મોદી ભયભીત હતા કે, ગુજરાતમાં તેમની સરકાર પરત આવશે નહીં. ભાજપ પ્રમુખ અમિત શાહે એવું સૂચન કર્યા બાદ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય કદાચ કરવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૧૭માં કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ વર્ષે જ ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવી હતી.

લાલકૃષ્ણ અડવાણીને રેસમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અલબત્ત તેઓ રાષ્ટ્રપતિ બનવાની સ્થિતિમાં તા. દેશના લોકો એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે, લાલકૃષ્ણ અડવાણીને આ સન્માન આપવામાં આવશે જેના માટે તેઓ હકદાર હતા પરંતુ તેમને વંચિત રાખવામાં આવ્યા હતા. આ ભાજપનો આંતરિક મામલો છે પરંતુ એક લેખ વાંચ્યા બાદ તેઓ આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ નિવેદન કરીને વધુ એક ચર્ચા જગાવી દીધી છે. તેમના નિવેદનની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનનો દોર જારી છે ત્યારે આ નિવેદન ફરી એકવાર ચર્ચા જગાવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

(12:00 am IST)