Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પાર્ટીના જ કાર્યકરોના ખરાબ વર્તનથી પ્રિયંકા ચતુર્વેદી ભારે નારાજ

કોંગ્રેસે કાર્યવાહી ન કરતા પાર્ટી પ્રવક્તા નાખુશ : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકાએ કોંગ્રેસની ટિકા કરી

નવીદિલ્હી, તા. ૧૭ : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ભાજપ સરકારની તીવ્ર ટિકા કરવામાં સૌથી આગળ રહેલા પ્રિયંકા ચતુર્વેદીએ આજે પોતાની પાર્ટીને લઇ જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની પીડા રજૂ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમને ધમકી આપનાર લોકોને એમ જ છોડી દેવામાં આવ્યા છે. તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રિયંકાએ પોતાની સાથે ખરાબ વર્તન કરનાર કોંગ્રેસી કાર્યકરોને પાર્ટીમાં ફરીથી લેવાના નિર્ણયની ટિકા કરતા ટ્વિટર પર પોતાની પાર્ટીની આજે ઝાટકણી કાઢી હતી. પાર્ટીના આ નિર્ણયથી નારાજ હોવાની વાત કરતા ચતુર્વેદીએ કહ્યું હતું કે, પાર્ટીની અંદર થનાર આ પ્રકારના વર્તનથી તેમને ખુબ નારાજગી થઇ છે. હતાશા પણ હાથ લાગી છે. આ સંદર્ભમાં જ્યારે વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે સિબ્બલે પ્રશ્નને ટાળી દીધો હતો અને કહ્યું હતું કે, આ સંદર્ભમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ ખુબ જ દુખદ બાબત છે કે, ખરાબ આચરણ કરનાર પાર્ટીના લોકોને કોંગ્રેસ પાર્ટીમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે. ખૂન પસીના સાથે મહેનત કરનાર લોકોને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. પાર્ટી માટે લોકો તરફથી ફેંકવામાં આવેલા પથ્થરો અને ખરાબ શબ્દોનો સામનો પહેલા પણ કર્યો છે પરંતુ પાર્ટીની અંદર તેમની સાથે ખરાબ વર્તન કરનાર લોકોને છોડી દેવામાં આવ્યા છે. તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ખુબ જ દુખદ બાબત છે. પ્રિયંકાએ એક ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું છે કે, મથુરામાં રાફેલ મુદ્દાને લઇને કોંગ્રેસ પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી હતી જ્યાં પાર્ટીના કેટલાક લોકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. અલબત્ત તેમની ફરિયાદ બાદ એવા સભ્યોને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જો કે, હાલમાં જ તેમને પાર્ટીમાં ફરી સામેલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્ડ કરવામાં આવેલાસભ્યોએ પોતાના વર્તન અને આચરણને લઇને નારાજગી વ્યક્ત કરી છે. તેમના અનુરોધ ઉપર તેમને ફરીથી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનનો સિલસિલો જારી છે ત્યારેકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીના નિવેદનથી કોંગ્રેસની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. જો કે, ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ સુધી આ સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી બાજુ પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી સાથે છેડો ફાડવાના સંદર્ભમાં કોઇ સંકેત આપ્યો નથી.

 

(12:00 am IST)