Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કર્ણાટક ચૂંટણીમાં વિજય મેળવવા લંડનના થેમ્સ નદી કિનારે આવેલ ૧૨મી સદીના સમાજ સુધારક સંત બસવેશ્વરની પ્રતિમાને નરેન્‍દ્રભાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

લંડનઃ આગામી સમયમાં યોજાનાર કર્ણાટકની વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે નરેન્‍દ્રભાઇ મોદી કર્ણાટકમાં વિજય મેળવવા માટે કર્ણાટક લિંગાયત સમુદાયના સંત બસવેશ્વરની પ્રતિમા ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધન નરેન્દ્ર મોદી કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખોની બેઠકમાં ભાગ લેવા માટે બ્રિટન પહોંચી ચૂકયા છે. પીએમ મોદી અહીં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મે સાથે પણ મુલાકાત કરવાના છે. જોકે ભલે PM મોદી આંતરરાષ્ટ્રીય પ્રવાસે હોય ત્યાં પણ તેઓ દેશના આંતરીક રાજકરણને સાધતા જોવા મળશે. કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી ટેમ્સ નદીના કિનારે આવેલ 12મી સદીના સમાજ સુધારક સંત બસવેશ્વરની પ્રતિમા પર પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આપને જણાવી દઇએ કે બસવેશ્વર કર્ણાટકના લિંગાયત સમુદાયમાં પૂજાય છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ બંને આ સમુદાયની વોટબેન્ક પર બાજ નજર લગાવીને બેઠા છે.

આજે એટલે કે 18મી એપ્રિલના રોજ સંત બસવેશ્વર જયંતી પણ છે અને પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અવસરે શુભકામના પણ પાઠવી છે. બસેશ્વર જયંતી વૈશાખ મહિનાના ત્રીજા દિવસે આવે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જોઇએ તો તારીખ દર વર્ષે બદલાઇ જાય છે. આપને જણાવી દઇએ કે નવેમ્બર 2015મા પોતાની બ્રિટન યાત્રા દરમ્યાન પીએમ મોદીએ સંત બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જો કે લંડનમાં ટેમ્સ નદીના કિનારે બસેશ્વરની પ્રતિમાનું સપનું કલબુર્ગી (કર્ણાટક)ના એક એનઆરઆઇએ જોયું હતું. પૂર્વ મેયર અને લંડનમાં કોમ્યુનિટી મેડિકલ ડૉકટર નીરજ પાટિલે 2011મા આસિયાન અને પાકિસ્તા સમુદાયના સમર્થન બાદ અહીં બસવેશ્વરની પ્રતિમા સ્થાપવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.

ફેબ્રુઆરી 2013મા લિંગાયત સમાજના સર્વાધિક મહત્વપૂર્ણ મઠ સિદ્ધગંગાના સંત ડૉ.શિવકુમાર સ્વામીએ પ્રતિમા માટે ફાઉન્ડેશન સ્ટોન મૂકયો હતો. 12મી મેના રોજ દેશમાં કર્ણાટક ચૂંટણી થવાની છે. ભાજપ પોતાનું સંપૂર્ણ જોર કૉંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને તોડવા પર લગાવ્યું છે. આ બધાની વચ્ચે સિદ્ધારમૈયાએ માસ્ટર સ્ટ્રોક મારતા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની માંગણી માની લીધી છે. કૉંગ્રેસના આ પગલાંને લિંગાયત સમાજના કેટલાંય મઠોનું સમર્થન પણ પ્રાપ્ત થઇ ગયું છે.

લિંગાયત સમાજ અત્યાર સુધી ભાજપના કોર વોટર ગણાય છે. પરંતુ તેવામાં કોંગ્રેસે આ વોટબેંકને તોડવા માટે લિંગાયત સમાજને અલગ લઘુમતી ધર્મનો દરજ્જો આપવાની વાત કરીને ભાજપની આખી બાજી પલટાવી નાખી છે. જ્યારે ભાજપે સિદ્ધારમૈયા પર વોટ બેન્ક માટે સમાજને વહેંચી દેવાના રાજકારણનો આરોપ મૂકયો છે. આ બધાની વચ્ચે પોત-પોતાના ચૂંટણી કેમ્પેઇનમાં રાહુલ ગાંધી અને અમિત શાહ બંને લિંગાયત સમાજના મઠોની મુલાકાત કરી ધર્મગુરૂઓના આશીર્વાદ લેવાની કોશિષમાં લાગી ગયા છે.

આ બધાની વચ્ચે પોતાની પાંચ દિવસની વિદેશ યાત્રાના બીજા તબક્કામાં મંગળવારના રોજ બ્રિટન પહોંચેલા મોદીનું સ્વાગત કરવા માટે ત્યાંના વિદેશ સચિવ બોરીસ જૉનસન એરપોર્ટ પર હાજર હતા. બ્રિટનમાં મોદીના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે. સૌથી પહેલાં તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર બ્રિટનના પીએમ ટેરેસમે ને મુલાકાત કરશે. ત્યારબાદ પીએમ મોદી સાયન્સ મ્યુઝિયમમાં ચાલી રહેલ ‘5000 ઇયર્સ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશનએક્ઝિબિશનમાં પહોંચશે. અહીં મોદી ભારતીય મૂળ સહિત બીજા વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે.

(5:50 pm IST)