Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

દેશમાં ૪૪૭ લોકોમાં જોવા મળ્યા સાઇડ ઇફેકટ્સ : ૩ હોસ્પિટલમાં દાખલ

કેટલાકે એલર્જીની ફરિયાદ કરી હતી અને કેટલાક ગભરાટની સમસ્યા થઇ હતી

નવી દિલ્હી,તા. ૧૮:દેશમાં કોરોના મહામારી વચ્ચે વેકસીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. પરંતુ આ વચ્ચે ઘણા લોકોમાં વેકસીનની પ્રતિકૂળ અસર જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વેકસીનેશન બાદ અત્યાર સુધીમાં ૪૪૭ લોકોમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા દિલ્હીમાં ૫૨ હેલ્થ વર્કર્સને રસી અપાયા બાદ સમસ્યા હોવાનું જણાવાયું હતું. તેમાંથી કેટલાકે એલર્જીની ફરિયાદ કરી હતી અને કેટલાક ગભરાટની સમસ્યા થઈ હતી. તેમાંથી એક વર્કર્સને AEFI સેન્ટર મોકલવામાં આવ્યો હતો. જો કે, આજે કોરોના વેકસીનેશનના બીજા દિવસે ૧૭,૦૭૨ લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૪,૩૦૧ લોકોને વેકસીનના  ડોઝ આપવામાં આવ્યા છે.

આ મામલા પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, શનિવારના પ્રતિકૂળ અસરના ૫૧ સામાન્ય કેસ સામે આવ્યા, જેમાં કેટલાકને સામાન્ય મુશ્કેલી થઈ. જો કે, એક કેસ થોડો ગંભીર હતો, તે શખ્સને એમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. જે હેલ્થવર્કર્સને એડમિટ કરવામાં આવ્યો છે તેની ઉંમર ૨૨ વર્ષ છે અને તે સિકયુરિટીમાં કામ કરે છે. જો કે, કુલ મળીને માત્ર એક જ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકી ૫૧ લોકોને થોડીવાર નિરીક્ષણમાં રાખી રજા આપવામાં આવી હતી.

સરકારે દરેક સેન્ટર પર એક એઈએફઆઇ કેન્દ્ર બનાવ્યું છે. જયાં રસી લગાવ્યા બાદ સાઇડ ઇફેકટ્સ  સામે આવતા ચેકઅપની સુવિધા મળે છે. તમને જણાવી દઇએ કે, ૧૬ જાન્યુઆરીથી કોરોના વેકસીનેશનની શરૂઆત પીએમ મોદીએ એક વીડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી કરી હતી. ત્યારબાદ દેશભરમાં લગભગ ૩૩૦૦ સ્થળો પર વેકસીનેશન કરવામાં આવ્યું.

(9:58 am IST)