Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

શાનદાર બેટિંગ બદલ મેન ઓફ દ સિરીઝ જાહેર : ત્રણેય વનડે મેચમાં પૂર્વ કેપ્ટન ધોનીએ અડધી સદી કરી

મેલબોર્ન, તા. ૧૮ : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી અને અંતિમ વનડે મેચમાં જીત મેળવી લીધા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સંકેત આપ્યો હતો કે, તે કોઇપણ સ્થાન ઉપર બેટિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોઇપણ જગ્યાએ બેટિંગ કરીને ટીમને જીત અપાવવા માટેની યોજના તે ધરાવે છે. વર્તમાન વનડે શ્રેણી તેના માટે નિર્ણાયક વનડે શ્રેણી રહી છે. ત્રણેય વનડે મેચોમાં ધોનીએ અડધી સદી બનાવી હતી. તેના શાનદાર દેખાવનાર કારણે મેન ઓફ દ સિરીઝ તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી. આજે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ધોનીએ ૧૧૪ બોલમાં છ ચોગ્ગા સાથે ૮૭ રન કર્યા હતા. ધોનીની શાનદાર બેટિંગના લીધે ભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાર બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જીત મેળવી લીધી હતી. ધોનીએ આજની મેચ જીતાડીને સાબિતી આપી હતી કે, તે હજુ પણ મેચ વિનર પ્લેયર તરીકે રહ્યો છે. કોહલી અને ધોનીએ પહેલા ૫૪ રનની અને ત્યારબાદ ધોની અને જાધવે ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી. પૂર્વ કેપ્ટને મેચ વિનિંગ સ્કોર કરીને ભારતને જીત અપાવી હતી. અલબત્ત તેને શૂન્ય રને મેક્સવેલે તક આપી હતી.

(8:04 pm IST)