Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મહારાષ્ટ્રમાં ટૂંકમાં સામાન્ય સ્થિતિ : રામદાસ આઠવાલે નો ધડાકો

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ખાતરી આપી હોવાનો દાવો : શિવસેના અને ભાજપ એક સાથે મળીને સરકાર બનાવશે

મુંબઈ, તા. ૧૭ : મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે યોજાયેલી બેઠક બાદ સરકાર રચવાની કવાયત ચાલી રહી છે ત્યારે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવાલે આજે મોટુ નિવેદન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે પોતાની વાતચીતનો ઉલ્લેખ કરતા આઠવાલે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ ભાજપની સરકાર બની જશે. અઠવાલે કહ્યું છે કે, અમિત શાહે તેમને ખાતરી આપી છે કે, મહારાષ્ટ્રમાં સ્થિતિ ટૂંક સમયમાં જ સુધરી જશે. આજે રવિવારના દિવસે મિડિયા સાથે વાતચીત કરતા આઠવાલે કહ્યું હતું કે, તેઓએ મહારાષ્ટ્રના રાજકીય સંકટ ઉપર કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. સાથે સાથે દરમિયાનગીરી કરવા માટે પણ અપીલ કરી હતી પરંતુ અમિત શાહે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં તમામ બાબતો ટૂંક સમયમાં જ સામાન્ય બની જશે. ભાજપ અને શિવસેના એક સાથે આવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.

                   ૨૯મી ઓક્ટોબરના દિવસે આઠવાલેએ શિવસેનાને અપીલ કરી હતી કે, મુખ્યમંત્રી પદની માંગને લઇને જિદ્દી વલણ અપનાવવાની જરૂર નથી. શિવસેનાએ નાયબ મુખ્યમંત્રી પદ લેવાને લઇને સહમત થઇ જવાની જરૂર છે. આઠવલેએ ઉદ્ધવ ઠાકરેને અપીલ કરતા કહ્યું હતું કે, શિવસેનાને મુખ્યમંત્રી પદ મળી જશે તેમ લાગતૂ નથી. આઠવાલે એમ પણ કહ્યું હતું કે, જો રાજ્યમાં સરકાર બનાવવાને લઇને મડાગાંઠની સ્થિતિ ચાલતી રહેશે તો ફરીથી ચૂંટણી થશે અને આમા ભાજપ અને શિવસેનાને મોટુ નુકસાન થશે. ભાજપને પણ શિવસેનાની માંગ ઉપર વિચારણા કરવાની જરૂર છે. શિવસેના સરકાર બનાવવા માટે હાલમાં કોંગ્રેસ અને એનસીપીની સાથે આગળ વધવા વિચારી રહી છે પરંતુ આ બાબત તેના માટે ખુબ ખતરનાક રહી શકે છે.

(8:17 pm IST)