Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

માલદીવના પ્રમુખ સોલિહના શપથવિધિમાં મોદી પહોંચ્યા

નરેન્દ્ર મોદીનું માલદીવમાં ભવ્ય સ્વાગત કરાયું: માલદીવ સાથે સંબંધોને મજબૂત કરવાના મક્કમ ઈરાદા સાથે પહોંચ્યા : ચીનના પ્રભાવને ખતમ કરવાની હિલચાલ

માલે, તા.૧૭ : પડોશી દેશ માલવદી સાથે સંબંધોને વધુ મજબૂત કરવાના ઈરાદાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રમુખ ઈબ્રાહીમ મોહંમદ સોલીહના શપથ ગ્રહણમાં હાજરી આપવા પહોંચ્યા હતા. વિમાની મથકે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સંસદના સ્પીકર અબ્દુલા મસીહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોડેથી પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના મિત્ર ગણાતા મોહંમદ માસીદ સહિત અનેક નેતાઓને મોદી ગળે મળ્યા હતા. બંને દેશો વચ્ચે સંબંધો હવે વધુ મજબૂત બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચીનના પ્રભાવમાં રહેતા માલદીવની સાથે સંબંધો હવે દિન પ્રતિદિન મજબૂત થઈ રહ્યા છે. પ્રમુખ સોલીહ અને નાસીર બંને એક જ પાર્ટી સાથે જોડાયેલા નેતા છે. આજે સાંજે સોલીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં માલદીવના પ્રમુખ તરીકેના શપથ લીધા હતા.

આ અવસરે ઉપસ્થિત રહેલા મોદી માલદીવ માટે સર્વોચ્ચ રેન્કીંગવાળા ગેસ્ટ રહ્યા હતા. ચીન તરફથી સાંસ્કૃતિક મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. હકીકતમાં ચીનના દેવામાં ફસાયેલા માલદીવ ઉપર હવે ભારતની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. માલદીવ હવે પોતાની સ્થિતિને સુધારવા ભારત ઉપર વધારે આશા રાખે છે. માલદીવની અગાઉની સરકારે ચીન પાસેથી જંગી લોન લીધી હતી. જેના કારણે તેની હાલત કફોડી બનેલી છે. નવી સરકારે ચીનના પ્રભાવમાંથી બહાર આવીને ભારત સાથે સંબંધો સુધારવા માટે સંકેતો આપ્યા છે. માલે રવાના થતા પહેલા મોદીએ કહ્યું હતું કે તેમની સરકારનો સબકા સાથ સબકા વિકાસનો નજરીયો પડોશી દેશો માટે પણ છે. પડોશી દેશો પણ ભારતની સાથે રહીને પ્રગતિ કરી શકે છે. ૨૦૧૧ બાદ પ્રથમ વખત ભારતીય વડાપ્રધાનના માલદીવમાં પહોંચવાના રાજદ્વારી મહત્વ છે. આ પહેલા મનમોહનસિંહ માલે ગયા હતા. ૨૦૧૫માં મોદી માલદીવ જવાના હતા પરંતુ રાજકીય અસ્થિરતાના લીધે જઈ શક્યા ન હતા.

(9:21 pm IST)