Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રામ મંદિર સમર્થન કરનાર વસિમ રીઝવીને સારવારની જરૂરઃ દેવબંધી ઉલેમાઓનું ભડકીલુ નિવેદન

નવી દિલ્હી/સહારનપુર: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવી દ્વારા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડને પત્ર લખીને રામ મંદિર નિર્માણ પર સહમતિ બનાવવાની વાત પર સહારનપુરના દેવબંધી ઉલેમા મુફ્તી અસદ કાસમીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે વસીમ રિઝવી માનસિક રીતે બીમાર થઈ ગયા છે. તેમણે કોઈ સારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવવી જોઈએ.

મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસ્લિમોની કાળજી લે છે. આથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બાબરી મસ્જિદ અંગે વિચાર, રામ મંદિર અંગે નહીં. પરંતુ આ પ્રકારના નિવેદનો આપીને આરએસએસના ચમચા દેશનો માહોલ ખરાબ કરવા માંગે છે. આથી સુપ્રીમ કોર્ટે આ પ્રકારના નિવેદનો આપનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

ઉલેમાએ કહ્યું કે વસીમ રિઝવીના નિવેદનો હંમેશા વિવાદાસ્પદ હોય છે. તેઓ આ પ્રકારના નિવેદનો આપે તેનો હેતુ એ જ હોય છે દેશનો માહોલ ખરાબ થાય. તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ રામ મંદિરના નિર્માણ અંગે વિચાર કરે. તેમણે એ વિચારવું જોઈએ કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે છે તે મુસલમાનોનું નેતૃત્વ કરે છે, તે મુસલમાનો અંગે વિચારશે અને બાબરી મસ્જિદ અંગે વાત કરશે.

મદરેસા જામિયા શૈખુલ હિન્દના મોહતમિમ, મુફ્તી અસદ કાસમીએ વસીમ રિઝવી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે કોઈ સારા ડોક્ટર પાસે માનસિક સારવાર કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે બધા જાણે છે કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે તો તે અંગે નિવેદનો કરવા જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીશ કે જે લોકો દેશનો માહોલ ખરાબ કરી રહ્યાં છે અને કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યાં છે તે પછી સરકારના રખવાળા હોય કે કાયદાના રખવાળા કે સામાન્ય નાગરિક, આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

(6:33 pm IST)