Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ખૂંખાર ત્રાસવાદી જાકીર મુસા રાજસ્થાનમાં ઘુસ્યો

દિલ્હીમાં પણ એલર્ટ જાહેર : ચૂંટણીના રંગે રંગાયેલા રાજસ્થાનમાં હુમલો કરે તેવી શકયતા

જયપુર તા. ૧૭ : કાશ્મીરમાં અલકાયદા કમાન્ડર અને ખૂખાંર આતંકી જાકીર મૂસા તેના સાથીઓ સાથે રાજસ્થાનમાં ઘૂસ્યો હોવાનું માનવામાં આવે છે. તે વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત રાજયમાં આતંકી હુમલો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંજાબમાં હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને જાકિર મૂસા રાજસ્થાન ભાગી ગયો છે અને તે રાજસ્થાનમાં મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યો છે.

માનવામાં આવે છે કે, સીમા પર કડક સુરક્ષાના કારણે ફિરોઝપુરથી દિલ્હીની સરખામણીએ રાજસ્થાનમાં પ્રવેશ કરવો સરળ છે. કારણકે ભારત-પાકિસ્તાનની સીમા ૫૫૩ કિલોમીટર સુધી ફેલાયેલી છે જયારે રાજસ્થાનની સીમા ૧૦૯૦ કિમી સુધી લાંબી છે.

બીએસએફ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓએ ઘણી સીમા પર આતંકી મૂસાને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ચોરી કરવામાં આવેલી કારનો નંબર અને મૂસાની તસવીરો પણ મોકલવામાં આવી છે.

આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સક્રિય ખૂંખાર આતંકી જાકીર મૂસા છેલ્લીવાર તેના સાથીઓ સાથે અમૃતસરમાં જોવા મળ્યો હતો. પંજાબ પોલીસની ખાનગી એઝન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના ૬-૭ આતંકીઓએ રાજયમાંથી દિલ્હી તરફ જવાનું કાવતરું ઘડ્યું હતું. ત્યારપછી રાજય પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

પંજાબ પોલીસના મહાનિરીક્ષક કાર્યાલય તરફથી જાહેર કરવામા આવેલા પત્ર પ્રમાણે પોલીસ આયુકત અને જિલ્લા પોલીસ પ્રમુખને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સૂચના પ્રમાણે જૈશ આતંકવાદીઓનું ગ્રૂપ પંજાબમાં છે અને દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારપછી સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર કરીને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત સીમા ઉપર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

માનવામાં આવે છે કે દિલ્હી તરફ સુરક્ષા વધારી દેવામાં આવી હોવાથી મૂસા તેના સાથીઓ સાથે ફિરોઝપૂરથી રાજસ્થાન તરફ જતો રહ્યો છે. હવે તે તેના સાથીઓ સાથે રાજસ્થાનમાં આતંકી હુમલો કરી શકે છે.

પંજાબ પોલીસની અપીલ

આતંકી જાકીર મૂસાના પોસ્ટર લગાવી પંજાબ પોલીસે જનતાને આતંકી પ્રવૃતિઓની જાણકારી આપતાં એલર્ટ રહેવાનું કહ્યું છે.

પોસ્ટરમાં જણાવાયું છે કે આતંકી મૂસા જમ્મુ કાશ્મીરના અંસાર ગજવત ઉલ હિંદ નામના આતંકી સંગઠનનો પ્રમુખ લીડર છે.

પંજાબ પોલીસે આતંકવાદી જાકીર મૂસાનું પોસ્ટર જાહેર કર્યું છે. ગુરદાસપુરના SSP સ્વર્ણદીપ સિંહનું કહેવું છે કે, 'અમે અમૃતસરની આજુબાજુ આવી પ્રવૃતિઓની જાણકારી મળી છે. એટલે અમે જનતાને જાગરૂત કરવા માટે પોસ્ટર જાહેર કર્યાં છે. અમે લોકોને અનુરોધ કર્યો છે કે તેમની પાસે જો કોઈ જાણકારી છે તો અમને જરૂર જણાવે.'

(3:47 pm IST)