Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભારત સામે નહીં જીતો તો ઘરે નહીં આવવા દઈએ : પાક. ફેન્સ

ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાક.ના મુકાબલાનો લોકોને ઈંતેજાર : ભારત-પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડકપમાં ૨૪ ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે

અમદાવાદ , તા.૧૭ : આ મહિનાથી વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ વર્લ્ડકપમાં થનારી અન્ય મેચો અને સ્પર્ધા કરતા ભારત અને પાકિસ્તાની મેચની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. આવામાં સોશિયલ મીડિયા પર પણ ભારત-પાકિસ્તાનની મેચને લઈને ફેન્સની પ્રતિક્રિયાઓ આવવાની શરુ થઈ ગઈ છે. મહત્વનું છે કે ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે ફેન્સ ભાવનાઓમાં વહી જતા હોય છે. આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે, કે જેમાં એક પાકિસ્તાની ક્રિકેટ ફેને પોતાના કેપ્ટન બાબર આઝમને ધમકી આપી છે. ફેને આ ધમકી બાબર આઝમની ટ્વિટર પોસ્ટમાં આપી છે. જેમાં લખ્યું છે કે, જો ૨૪ ઓક્ટોબરની મેચમાં જીત્યા નહીં તો ઘરે નહીં આવવા દઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડકપમાં ૨૪ ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેચને લઈને ફેન્સમાં જબરજસ્ત ઉત્સાહ છે. આ બન્ને ટીમોની મેચમાં ખેલાડીઓ નહીં પણ ફેન્સ પણ ટીમ હારને ગળે નથી ઉતારી શકતા.

જ્યારે કેપ્ટન બાબર આઝમે ફેન્સ પાસે ટુર્નામેન્ટને લઈને સપોર્ટ માગ્યો તો લોકોએ શુભેચ્છા પાઠવી, જ્યારે કેટલાક ફેન્સે ધમકી પણ આપી દીધી. રાહિલ ભટ્ટ નામના યુઝરે ધમકીના અંદાજમાં કહ્યું કે, ૨૪ ઓક્ટોબર વાલા મેચ જીતા દેના, વરના ઘર નહીં આને દેંગે. ભારત પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડકપમાં ૫ વખત મેચ રમાઈ છે જેમાં ભારત એક પણ મેચ હાર્યું નથી.

બીજી તરફ આઝમે મેચ જીતાડવાની વાત કરી છે. આઝમે લખ્યું હતું કે, અમે પાછલા ત્રણ વર્ષથી યુએઈમાં ક્રિકેટ રમી રહ્યા છીએ અને અહીની સ્થિતિથી વાકેફ છીએ. આઝમે આગળ કહ્યું, અમને ખબર છે કે વિકેટ કેવી હશે અન બેટ્સમેને શું ધ્યાન રાખવાનું છે. મેચના દિવસે સારું રમનારી ટીમ જ જીતશે. મને લાગે છે કે અમે જીતીશું.

મહત્વનું છે કે, મોકા-મોકા જાહેરાતે ફરી એકવાર ફેન્સને ઉત્સાહિત કર્યા છે. આ વખતની જાહેરાતમાં પાકિસ્તાની ફેન્સને એક સાથે એક ટીવી ફ્રી આપવાની જાહેરાત બતાવવામાં આવી રહી છે. એટલે તેઓ ફટાકડા ના ફોડી શકે તો કંઈક બીજુ ફોડવાની તક મળે.

(8:54 pm IST)