News of Sunday, 17th October 2021
મુંબઈ, તા.૧૭ : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન જેલમાં હોવાથી સુપરસ્ટાર શાહરૂખની રાતની ઊંઘ ઉડી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાહરૂખ ખાને શુક્રવારે દીકરા આર્યન સાથે વિડીયો કૉલ પર વાત કરી હતી. આર્યન ખાનને જેલમાં કોઈ વિશેષ સુવિધા આપવામાં નથી આવી અને તેને જેલના અન્ય કેદીઓની જેમ જ રહેવું પડે છે.
કોવિડ-૧૯ના નિયમો અંતર્ગત જેલમાં ૫ દિવસ ક્વોરન્ટીન રહ્યા બાદ આર્યનને પાંચ અન્ય કેદીઓ સાથે કોમન બેરેકમાં મોકલવામાં આવ્યો હતો. જેલના અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આર્યન ખાને વિડીયો કૉલ દ્વારા પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરી હતી. હાઈકોર્ટના આદેશ પ્રમાણે, કોરોના કાળમાં કેદીઓ પોતાના પરિવારજનોને મળી શકતાં નથી પરંતુ તેઓ અઠવાડિયામાં બેવાર વિડીયો કૉલ દ્વારા તેમની સાથે વાત કરી શકે છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, આર્યન ખાને પોતાના પેરેન્ટ્સ સાથે ૧૦ મિનિટ વિડીયો કૉલ પર વાત કરી હતી. વિડીયો કૉલ ચાલતો હતો એ વખતે જેલના એક અધિકારી ત્યાં હાજર હતા. આર્થર રોડ જેલમાં કુલ ૩૨૦૦ કેદીઓ છે. કોરોના કાળ દરમિયાન બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે, કેદીઓને મળવા મુલાકાતીઓ અંદર આવી શકતા નથી. તેઓ માત્ર ફોન દ્વારા પરિવારજનો સાથે વાત કરી શકે છે. કેદીઓ પોતાના પરિવાર સાથે ૧૦ મિનિટ વાત કરી શકે છે. જેલ પાસે કુલ ૧૧ ફોન છે.
જેલના જે કેદીઓના પરિવારજનો પાસે વિડીયો કૉલની સુવિધા છે તેમને આ માધ્યમ થકી વાત કરાવામાં આવે છે અને જો આ સુવિધા ના હોય તો સાદો વોઈસ કૉલ જોડી આપવામાં આવે છે. મતલબ કે, આર્યનને વિડીયો કૉલની સુવિધા તેના પિતાના સ્ટારડમના લીધે નહીં પરંતુ કાયદા
મુજબ આપાવામાં આવી છે.
આર્યન ખાનને જેલમાં ૧૧ ઓક્ટોબરે ૪,૫૦૦ રૂપિયાનો મની ઓર્ડર પિતા શાહરૂખ તરફથી મોકલવામાં આવ્યો હતો. જેલના નિયમ મુજબ કેદીઓને પરિવારજનો મની ઓર્ડર દ્વારા રૂપિયા મોકલી શકે છે. કેદીઓને મહત્તમ ૪,૫૦૦ રૂપિયા મોકલી શકાય છે. આ રૂપિયામાંથી તેઓ જેલની કેન્ટિનમાંથી જરૂરી વસ્તુઓ ખરીદી શકે છે.
આર્યન ખાન આર્થર રોડ જેલમાં સામાન્ય કેદીની જેમ જ રહે છે. તેણે સવારે ૬ વાગે ઉઠવાનું હોય છે અને સવારે ૭ વાગ્યે નાસ્તો આપવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો આર્યન પર અહીં ઘણા પ્રકારના નિયમો પાળે છે, જે તેની સામાન્ય લાઈફસ્ટાઈલ જેવા નથી.
આર્યન માત્ર અઠવાડિયામાં બેવાર પોતાના પરિવાર સાથે ૧૦ મિનિટ માટે વાત કરી શકે છે. સવારે વહેલા ઉઠવાનું અને સાંજ પડતાં જ બેરેકમાં પાછા જવાનું. મોજ-શોખની જિંદગી જીવતાં આર્યનને શાહરૂખ-ગૌરી દર મહિને માત્ર ૪,૫૦૦ રૂપિયાનો મની ઓર્ડર જેલમાં મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ૨ ઓક્ટોબરની રાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. અહીં કથિત રીતે ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી. આ ડ્રગ્સ પાર્ટીમાંથી આર્યન સહિત ૮ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ૩ ઓક્ટોબરે આ આઠેય જણની ધરપકડ કરાઈ હતી. આર્યન લગભગ પાંચ દિવસ સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહ્યો હતો. ત્યારબાદ ક્રૂઝ પરથી પકડાયેલા તમામને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
આ કેસમાં અત્યાર સુધીમાં ૨૦ લોકોની ધરપકડ થઈ છે, જેમાં બે નાઈજિરિયાના શખ્સોનો પણ સમાવેશ થાય છે.
આર્યનની જામીન અરજી પર સુનાવણી થઈ છે પરંતુ સેશન્સ કોર્ટે ચુકાદો ૨૦ ઓક્ટોબર પર મુલતવી રાખ્યો છે.