Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પાકિસ્તાન કાશ્મીરને છોડી અન્ય મુદ્દા પર ધ્યાન આપે

પાકિસ્તાન નહીં સમજે તો ૧૯૭૧ જેવી સ્થિતિ થશે : સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથસિંહે પ્રથમ ઇન્ટરવ્યુ આપ્યું : પ્રાઇવેટ સેક્ટર હિસ્સેદારી વધશે

નવીદિલ્હી, તા. ૧૭ : સંરક્ષણ મંત્રાલયની જવાબદારી લીધા બાદ પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનો રસ્તો છોડીને મૂળ સમસ્યા ઉપર ધ્યાન આપે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતુ ંકે, ભવિષ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીની હિસ્સેદારી વધનાર છે. સંરક્ષણ ક્ષેત્રમાં દેશની નિકાસ ખુબ સારી રહી છે અને આવનાર સમયમાં તેમાં વધુ વધારો થવાના સંકેત છે. પડોશી દેશ પાકિસ્તાનને પણ પોતાની મૂળ સમસ્યા તરફ ધ્યાન આપવાની જરૂર છે. આતંકવાદનો સાથ છોડવાની જરૂર છે. અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દાને પાકિસ્તાન ઉઠાવી રહ્યું છે પરંતુ તેને વિશ્વ સમુદાય તરફથી કોઇ સમર્થન મળી રહ્યું નથી. સંરક્ષણમંત્રીએ પડોશી દેશને સલાહ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાને કાશ્મીરને છોડીને પોતાના અન્ય મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઇએ. પાકિસ્તાનની સરહદની અંદર જ ઘણા એવા મુદ્દા છે જે ખુબ જટિલ છે અને આ સમસ્યાનો ઉકેલ જરૂરી છે.

             જો પાકિસ્તાન આતંકના રસ્તા પર આગળ વધશે તો વિનાશ નિશ્ચિત છે. જો પાકિસ્તાન હવે સાવધાન નહીં થાય તો ૧૯૭૧ની જેમ જ સ્થિતિ બની શકે છે. એ વખતે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આતંકવાદના રસ્તા પર તેને પોતાને નુકસાન થઇ રહ્યું છે. સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, રાફેલ ડિલને લઇને પણ બિનજરૂરી હોબાળો વિરોધ પક્ષોએ કરવો જોઇએ નહીં. વિપક્ષના આક્ષેપોને ફગાવતા તેમણે કહ્યું હતું કે, લોકોએ પુરા વિશ્વાસ સાથે ભાજપને બીજી વખત પ્રચંડ બહુમતિ આપી છે. સંરક્ષણ ક્ષેત્રમાં સરકારી કંપનીઓની મોટી હિસ્સેદારી છે પરંતુ પ્રાઇવેટ કંપનીઓની હિસ્સેદારી વધી રહી છે.

               દેશના કુલ ડિફેન્સ પ્રોડક્શનમાં પ્રાઇવેટ સેકટરની હિસ્સેદારી હવે ૨૦ ટકાથી વધારે થઇ ગઇ છે. આવનાર સમયમાં તેમાં વધુ ઉમેરો થશે. રાજનાથસિંહે કહ્યું હતું કે, અમારા લક્ષ્ય સેનાઓને દેશમાં રિસર્ચ સાથે બનેલા સંશાધનોથી સુસજ્જ બનાવવાના છે. અનેક પ્રાઇવેટ કંપનીઓ હવે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં સામેલ છે. નવી ટેકનોલોજીના ઉપયોગથી ઇન્ડસ્ટ્રીની સાથે પાર્ટનરશીપમાં પ્રોડક્શન કરવામાં આવશે. સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ મોડલ હેઠળ હેલિકોપ્ટર અને સબમરીનની મેન્યુફેક્ચરિંગ નિર્ધારિત સમય મર્યાદામાં કરવામાં આવશે. આવનાર વર્ષોમાં ડિફેન્સ સેક્ટરમાં નિકાસને વધારવામાં આવશે. આના પર કામ ચાલી રહ્યું છે.  રાજનાથસિંહ હાલમાં પ્રચાર વેળા પાકિસ્તાન પર સતત કઠોર પ્રહારો કરતા રહ્યા છે. આજે પણ આ મુદ્દો ફરી ઉઠાવ્યો હતો.

(7:52 pm IST)