Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભારતની સેના વિશ્વની સૌથી તાકાતવર સેનામાં સામેલ છે

છેલ્લા પાંચ વર્ષમાં શ્રેણીબદ્ધ કઠોર નિર્ણય : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ભાગરુપે સતારા અને અન્ય જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરાયો

મુંબઈ, તા. ૧૭ : મહારાષ્ટ્ર ચંટણીથી પહેલા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે મોદીએ સતારા અને અન્ય જગ્યાઓએ ચૂંટણી સભા કરી હતી. ચૂંટણી સભામાં મોદીએ મુખ્યરીતે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ ઉપર પ્રહાર કર્યા હતા. સતારા અને બીડમાં મોદી આજે પ્રચારમાં વ્યસ્ત દેખાયા હતા. પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરતા મોદીએ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, બંને દળોની અંદર પારસ્પરિક મતભેદની સ્થિતિ રહેલી છે. અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, એનસીપી અને કોંગ્રેસનું લક્ષ્ય સમાજને વિભાજિત કરીને મલાઈ ખાવા માટેનું રહેલું છે. મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્ર રક્ષા રાષ્ટ્રના એકીકરણ માટે સરકાર કેવા કઠોર નિર્ણય લઇ રહી છે જેવા નિર્ણય લેવાની અગાઉ કોઇ સરકારમાં હિંમત ન હતી પરંતુ કમનસીબ બાબત એ છે કે, આજે મહારાષ્ટ્રમાં જે અમારા વિરોધમાં છે તે લોકો રાષ્ટ્રરક્ષા માટે લેવામાં પગલાનો પણ વિરોધ કરી રહ્યા છે.

                      છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે ભારતની સેનાને દુનિયાની તાકાતવર સેનાની શ્રેણીમાં મુકી દીધી છે. એનસીપી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ બંને પક્ષોની રાજકીય સ્થિતિ વિભાજિત કરીને શાસન કરવાની રહેલી છે. બંને પક્ષોના કાર્યકરો એકબીજાને પછાડવા માટે કામ કરી રહ્યા છે. બંને પાર્ટીઓ એકબીજાને તેમની તાકાત દર્શાવવા માટે ચાલ રમી રહ્યા છે. કાર્યકરો અને ગઠબંધનમાં વિભાજન છે તો મહારાષ્ટ્રને કઇરીતે એક કરી શકે છે. છત્રપતિ શિવાજીના આવા ક્યારે કોઇ સંસ્કાર ન હતા. પોતાની સરકારની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ આને અમે શાસનના મહામંત્ર બનાવીને આગળ વધી રહ્યા છે. આમા તમામની ભાગીદારીની ખાતરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે હજારો કરોડના પ્રોજેક્ટો અહીં આપ્યા છે. પહેલા વિકાસના નામ ઉપર શું થતું હતું તે તમામ લોકો જાણે છે. છેલ્લા પાંચ વર્ષથી મહાગઠબંધનની સરકારે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના સંસ્કારો મુજબ કામ કર્યું છે. આ ગાળા દરમિયાન અમે રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, બંને પક્ષો જેમાં શિવસેના અને ભાજપ સામેલ છે. હિતમાં સતત કામ કરી રહી છે.

(7:50 pm IST)