Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧માં જન્મદિને દેશભરમાં સેવાયજ્ઞ

દેશની સેવા કરવાનો સંકલ્પ લેવાની અપીલ કરવામાં આવી : પ્રધાનમંત્રી મોદીએ તેમનો ૭૧ મો જન્મદિવસ સામાન્ય દિવસની જેમ વ્યસ્ત દિનચર્યા સાથે અને કોઇપણ ઝાકમઝોળ ભરી ઉજવણી વગર વિતાવ્યો

નવી દિલ્હી,તા.૧૭: આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૭૧ મો જન્મદિવસ છે. આ પ્રસંગે ભાજપ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ દિવસે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લગતું પ્રદર્શન નમો એપ પર બતાવવામાં આવશે. નમો એપ પર અમૃત પ્રયાસ નામનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે. જેના દ્વારા લોકો રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, વૃદ્ધાશ્રમમાં સેવા જેવા કાર્યોમાં ભાગ લઈ શકે છે. લોકોને જન્મદિવસની શુભેચ્છા સંદેશ સાથે દેશની સેવા કરવાનો સંકલ્પ લેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રી મોદી તેમનો ૭૧ મો જન્મદિવસ સામાન્ય દિવસની જેમ વ્યસ્ત દિનચર્યા સાથે અને કોઈપણ ઉજવણી વગર પસાર કરશે. ભાજપ દિલ્હી મુખ્યાલયમાં સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ ૭ ઓક્ટોબર સુધી ચાલશે. પ્રધાનમંત્રી મોદીની રાજકીય યાત્રાના ૨૦ વર્ષ પણ ૭ ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. તેમજ ભાજપ યુવા સંગઠન આ દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરશે. આ અભિયાનમાં ભાજપના કાર્યકરો ગામડે ગામડે, ઘરે ઘરે જઈને વિવિધ કાર્યક્રમો દ્વારા સંપર્ક કરશે અને વાતચીત કરશે, સેવા કાર્ય કરશે. આ અભિયાનમાં મોરચા અને સેલના કાર્યકરો પણ ભાગ લેશે.

આ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી સ્વાસ્થ્ય પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે. મેડિકલ સેલ આનું સંકલન કરશે. યુવા મોરચાના કાર્યકરો રક્તદાન શિબિરનું આયોજન કરશે. જ્યારે, અનુસૂચિત મોરચાના કાર્યકરો ગરીબ વસાહતોમાં ફળો અને અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ કરીને સેવા કાર્ય કરશે. બીજી બાજુ, પછાત વર્ગના કામદારો અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જશે અને ફળ વિતરણ અને અન્ય સેવા કાર્ય કરશે. સેવા અને સમર્પણ અભિયાન હેઠળ કિસાન મોરચા દ્વારા કિસાન સન્માન દિવસનું આયોજન કરીને ૭૧ ખેડૂતો અને ૭૧ જવાનનું સન્માન કરવામાં આવશે.

કોરોના સમયગાળા દરમિયાન સેવા કાર્ય કરનાર ૭૧ મહિલાઓનું સન્માન કરવાનું કાર્ય મહિલા મોરચા દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આરએસએસના કાર્યકરથી પીએમ પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે ૭૧ વર્ષનાં થયા. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦નાં રોજ જન્મેલા મોદીનું નાનપણ ગુજરાતના વડનગરમાં સામાન્ય પરિવારમાં વીત્યું. નરેન્દ્ર મોદી પિતા દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબહેન મોદીના સંતાન છે. સંઘ અને જનસંઘના નેતાઓ સતત નરેન્દ્ર મોદીના પ્રેરણા સ્ત્રોત રહ્યાં. એમાંય લક્ષ્મણરાવ ઈનામદાર ઉર્ફ વકીલ સાહેબ અસર નરેન્દ્ર મોદીના જીવન પર ખૂબ જ જોવા મળી. તેઓ સંઘના પ્રચાર અર્થે વડનગર ગયા, ત્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વાર તેમને મળ્યા હતા.

જ્યારે નરેન્દ્ર મોદી વડનગર છોડી અમદાવાદ આવ્યા ત્યારે ફરી વકીલ સાહેબના પરિચયમાં આવ્યા અને તેમની સાથે આરએસએસના અમદાવાદ સ્થિત કાર્યાલય હેડગેવાર રહેવા લાગ્યા. જ્યાં તેઓ સ્વયં સેવકો માટે ચા-નાસ્તો બનાવવાની સાથે ૮-૯ ઓરડામાં ઝાડું પોતા લગાવતા અને તેની સાથે સાથે વકીલ સાહેબનાં કપડાં પણ ધોતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમના દ્વારા રથયાત્રામાં સહુથી વધુ ૧૩ વખત પહિન્દ વિધિ કરવાનો રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો છે. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે વહેલી સવારે ૭ વાગે દર વર્ષે તેઓ જમાલપુર જગન્નાથ મંદિર આવી જતા અને ભગવાન જગન્નાથજી નાં દર્શન કરી પૂજા કરીને સોના સાવરણીથી પહિન્દ વિધિ કરાવતા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના વિકાસમાં સિહ ફાળો છે. એમાંય યાત્રાધામોના વિકાસને મોદીએ હંમશાં પ્રાધાન્ય આપ્યું છે. યાત્રાધામોમાં સોમનાથ હમેશાં મોદીના હૃદયની નજીક રહ્યું છે. આ વિશે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં કહ્યુ કે, નરેન્દ્ર મોદી જ્યારે વડનગરમાં રહેતા હતા. ત્યારે પુસ્તકાલયનો લાભ લેતા હતા. તે સમયે તેમણે કનૈયાલાલ મુનશી લિખીત પાટણની પ્રભુતા, જય સોમનાથ અને ગુજરાતનો નાથ પુસ્તકો વાંચ્યા હતા. તેઓ અવાર નવાર પાટણ જતા અને ત્યાંથી તેમની પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ માટે લાગણી જન્મી હતી. રામ મંદિર માટે રથયાત્રાનો પ્રસંગ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીની સલાહથી એલ. કે. અડવાણીની અને ભાજપાના નેતાઓએ સોમનાથની પસંદગી કરી હતી. જેનુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે સરદાર પટેલનો સોમનાથ ટ્રસ્ટ બનાવવાનો વિચાર અને તત્કાલીન સરકાર દ્વારા તેનો વિરોધ વલ્લભભાઇએ મંદિરના ખંડેરને દુર કરી સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. સેકન્ડ ઇન કમાન્ડ તરીકે નરેન્દ્ર મોદીએ એલકે અડવાણીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી ભાજપાના નેતાઓનુ સોમનાથ પ્રત્યે અદમ્ય આકર્ષણ જોવા મળે છે.

આજે પણ ભાજપાના નેતાઓ વર્ષમાં એકાદવાર  સોમનાથની મુલાકાત લે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોમાનાથના વિકાસ માટે અનેક પગલાં લીધાં હતા. રલવે સ્ટેશનનું લોકાર્પણ કરવું, નેશનલ હાઇવે બનાવવાની કાર્યવાહી કરવી, હરીહર વનનું નિર્મામ કરવું, ત્રિવેણી ઘાટને સુશોભિત કરવો વર્ષ ૨૦૧૦માં જ્યારે તેઓ ટ્રસ્ટી બન્યા ત્યારે તેમણે પ્રવાસીઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની શરૂઆત કરાવી. વડાપ્રધાન મોદીના જન્મદિવસના પ્રસંગે જો ધોળકાની વાત ન કરીએ તો કદાચ મોદીએ સંઘના કાર્યકર તરીકે કરેલા કામો સાથે અન્યાય કહેવાશે. વર્ષ ૧૯૮૫ની આસપાસના કેટલાક વર્ષો સુધી આરએસએસના એક કાર્યકર તરીકે મોદીનું સતત ધોળકામાં આવનજાવન રહેતું અને ધોળકામાં આવેલા સત્સંગ ભવન ખાતે તેઓ રોકાતા.

અહીં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરતા અને રાત્રી વસવાટ પણ કરતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવન યાત્રા નાનપણમાં વડનગર રેલવે સ્ટેશન ખાતેથી ચાની કટલીથી શરૂ થઈ હતી અને હાલ પ્રધાનમંત્રી સુધી પહોચી છે. જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો હતો અને પ્રચારકથી લઈને રાજનેતા સુધી તેમણે પોતાની જાતને જનસેવા માટે ખપાવી નાંખી છે.

(3:59 pm IST)