Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કેનેડાની બ્રૂકફિલ્ડ રૂૂ.૧૪,૦૦૦ કરોડમાં રિલાયન્સની ગેસ પાઇપલાઇનની ખરીદી કરશે

મુંબઈ:કેનેડાની રોકાણકાર બ્રૂકફિલ્ડ ખોટ કરતી ઈસ્ટ વેસ્ટ પાઇપલાઇન (EWPL) ખરીદવાની તૈયારીમાં છે. અગાઉ રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઓળખાતી EWPLનો સોદો ₹14,000 કરોડ (બે અબજ ડોલર)ના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં થશે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ નામના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) મારફતે ગુજરાતના ભરૂચથી કાકીનાડા સુધીની 1,400કિલોમીટરની પાઇપલાઇન ટેકઓવર કરવા સક્રિય છે.

સ્પર્ધાપંચ (CCI)એ ગયા સપ્તાહે સોદાને મંજૂરી આપી છે. બ્રૂકફિલ્ડે InvITની નોંધણી માટે સેબીને અરજી કરી છે, જેની મંજૂરી ચાલુ મહિને મળવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી તરફથી InvITની મંજૂરી મળ્યા પછી બંને પક્ષ દ્વારા સંયુક્ત રીતે સોદાની જાહેરાત કરવામાં આવશે.

EWPL હેઠળની પાઇપલાઇનને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ (RIHPL)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્ચ પ્રાઇવેટ લિમિટેડ (PIPL)ને ટ્રાન્સફર કરવામાં આવશે.

EWPLએ એસેટની ટ્રાન્સફર માટે NCLTમાં અરજી કરી છે. સોદાની ₹14,000 કરોડની રકમને ઇક્વિટી અને ડેટમાં સમાન ભાગે વહેંચવામાં આવશે. બ્રૂકફિલ્ડ ફાઇનાન્સિંગ માટે ICICI બેન્ક સહિતના ભારતીય ધિરાણકારો સાથે ચર્ચામાં હોવાનું મનાય છે.

બ્રૂકફિલ્ડ અને રિલાયન્સે શનિવારે આ મુદ્દે પુછાયેલા પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો ન હતો. જે એમ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની સલાહકાર છે. બ્રૂકફિલ્ડ સાથે કોન્ટ્રાક્ટના ભાગરૂપે અંબાણી 20-25 વર્ષ પછી એસેટ પરત ખરીદી શકાય એવી જોગવાઈ અંગે વાટાઘાટ કરી રહ્યા હોવાનું મનાય છે.

જોકે, હજુ એ શરતો નક્કી થઈ નથી. રિલાયન્સના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “એસેટને મોનેટાઇઝ કરવાનો આ ઉત્તમ રસ્તો છે. બ્રૂકફિલ્ડ અને ટ્રસ્ટના અન્ય નાના ચાર સ્પોન્સર્સને પાઇપલાઇનમાંથી કેશ ફ્લો મળશે, જે તેમને અંદાજ મુજબનું વળતર આપશે. InvIT ટેક્સની રીતે કાર્યક્ષમ છે, જે ભવિષ્યમાં વધુ એસેટ્સ ઉમેરવાનો વિકલ્પ પણ આપે છે.”

અંબાણીના RIHPL ગ્રૂપમાં સિક્કા પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ અને રિલાયન્સ યુટિલિટીઝ એન્ડ પાવર મહત્ત્વની કંપની છે. આ કંપનીઓ રિલાયન્સના જામનગર, દહેજ અને હઝીરા પ્લાન્ટ તેમજ KG D6 ગેસ ફિલ્ડ સાથે બહુ નજીકથી સંકળાયેલી હોવાથી રિલાયન્સની કામગીરી માટે તે મહત્ત્વની છે. રિલાયન્સની વર્તમાન સુવિધાઓ સાથે આ કંપનીઓ એક્સ્ક્લુઝિવલી જોડાયેલી છે. ઉપરાંત, રિલાયન્સના પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનિંગ બિઝનેસના વિસ્તરણ સાથે પણ તે સંકળાયેલી છે અને વિસ્તરણ પૂરું થવાની તૈયારીમાં છે.

EWPLએ 2017’18માં ₹884 કરોડની કાર્યકારી આવક પર ₹715 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. કંપનીનો વ્યાજખર્ચ તેની આવક અને ઘસારાખર્ચ જેટલો હતો. માર્ચ 2018સુધીમાં કંપનીનું બાકી ઋણ ₹13,715 કરોડ હતું. કંપનીની છેલ્લી વાર્ષિક બેલેન્સશીટ મુજબ તેના પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ અને પ્રોપર્ટીનું એસેટ મૂલ્ય લગભગ ₹11,000 કરોડ હતું.

(5:54 pm IST)