Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વ્‍હોટ્‍સએપ પર વાયરલ થતાં મેસેજને હવે ચતુરાઇથી પકડી રહી છે પોલીસ

પોલીસે શોધ્‍યો અનોખો રસ્‍તોઃ ૨ ફેક ફેસબુક પેજ પણ બનાવે છે પોલીસ! વડોદરાના કોલેજીયનને પોલીસે કલાકોમાં પકડી લીધોઃ વ્‍હોટસએપ બન્‍યું હાથવગું હથિયારઃ આંદોલનકારીઓ કરતા ગુનેગારોની માહિતી મેળવવી સરળ

મુંબઇ, તા.૧૭: પળવારમાં જ વાયરલ થઈને લોકોમાં રોષ ભડકાવતા મેસેજનું પગેરું શોધવું પોલીસ માટે ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર હોય છે. પાટીદાર આંદોલન શરુ થયું ત્‍યારથી એટલે કે, ૨૦૧૫થી ખાસ તો વ્‍હોટ્‍સએપ ગૃપ્‍સ દ્વારા વાયરલ થતાં આ પ્રકારના મેસેજ પોલીસ માટે માથાનો દુઃખાવા સમાન બન્‍યા છે. જોકે, હવે પોલીસે આવા મેસેજને વાયરલ કરનારાઓ સુધી પહોંચવાનો રસ્‍તો શોધી લીધો છે.

સુરતમાં પાટીદારોના વ્‍હોટ્‍સએપ ગૃપમાં હવે પોલીસ પણ નામ બદલીને એન્‍ટ્રી કરી ગૃપ્‍સમાં થતી હલચલ પર નજર રાખી રહી છે. જુદાજુદા આંદોલનના નેતાઓ દ્વારા ઓપરેટ થતા આ ગૃપ્‍સમાં હવે પોલીસની પણ ચૂપચાપ એન્‍ટ્રી થઈ ગઈ છે. એટલું જ નહીં, આંદોલનકારીઓનો વિશ્વાસ જીતવા હવે તો પોલીસ સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ અને ફેક ફેસબુક પેજ પણ બનાવે છે.

એક સિનીયર પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, આ ટ્રીક કામ કરી ગઈ છે અને પોલીસ સુધી ઘણી માહિતી સમયસર પહોંચી જાય છે. જેના કારણે વાયરલ થયેલા મેસેજ મોટું સ્‍વરુપ ધારણ કરે તે પહેલા જ પોલીસ સતર્ક થઈ જાય છે. પોલીસની સતર્કતાને કારણે કોઈ હિંસક દેખાવો થાય તે પહેલા જ તેને અટકાવી શકાય છે.

વડોદરાના કોલેજીયનને પોલીસે કલાકોમાં પકડી લીધો

હાલમાં જ વડોદરાના એક યુવકે એક ભડકાઉ મેસેજ પોસ્‍ટ કર્યો હતો. આ મેસેજને કારણે સુરતમાં મોટી બબાલ થાય તેમ હતી. જોકે, આ મેસેજ પોલીસ સુધી ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગયો હતો, અને કલાકોમાં તો પોલીસે આ મેસેજ વાયરલ કરનારા કોલેજિયનને પકડી લીધો હતો. પોલીસે આ છોકરાના મા-બાપને પણ બોલાવ્‍યા હતા, અને તેને ચેતવણી આપીને છોડી મૂક્‍યો હતો.

પાટીદાર આંદોલન દરમિયાન પણ કોઈ મેસેજને મોટા વર્ગ સુધી પહોંચાડવા વ્‍હોટ્‍સએપનો જ ઉપયોગ કરાયો હતો. જેનાથી સેકન્‍ડોમાં જ આ મેસેજ વાયરલ થઈ જતા. સુરતના કાપડના વેપારીઓ જીએસટી સામે હડતાળ પર ઉતર્યા ત્‍યારે, અને હાલમાં એમ્‍બ્રોઈડરીના કારીગરો તોફાને ચઢ્‍યા છે, ત્‍યારે વ્‍હોટ્‍સએપ દ્વારા ધડાધડ મેસેજ ફેલાવાઈ રહ્યા છે. જેના પર કાબૂ રાખવો પોલીસ માટે મોટી ચેલેન્‍જ છે.

ઈન્‍ફોર્મેશન કઢાવવા માટે હવે પોલીસ કેટલાક યુવા આંદોલનકારીઓને દોસ્‍ત બનાવી રહી છે, અને ક્‍યારેક તો કોઈ ક્રિમિનલ કેસમાં આરોપીને નુક્‍સાન ન પહોંચાડવાનું કહી તેની પાસેથી પણ માહિતી કઢાવી રહી છે. પોલીસનું કહેવું છે કે, કોઈ ગુનેગારની માહિતી બીજા ગુનેગાર પાસેથી કઢાવી સહેલી છે, પરંતુ આંદોલનકારીઓ એક છે, અને તેમને એવું લાગે છે કે તેઓ કોઈ કાયદો નથી તોડી રહ્યા. જેથી તેમને વિશ્વાસમાં લઈ માહિતી કઢાવવી અદ્યરું કામ છે.

(1:16 pm IST)