Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોદીએ સંઘમાં જોડાયા બાદ એક પછી એક સિદ્ધિ મેળવી

મોદીના જન્મદિવસને કાલે ભવ્ય રીતે મનાવાશે : નરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી પરિવારમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે જન્મ થયો :૧૯૭૧માં સંઘમાં જોડાયા

નવીદિલ્હી, તા.૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આવતીકાલે જોરદાર ઉજવણી કરવા દેશમાં ભાજપના તમામ કાર્યકર અને તેમના સમર્થકો ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે . મોદી તેમના વતન રાજ્યમાં જ જન્મદિવસ મનાવનાર છે.વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં શાનદાર અને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકેના તેમના ગાળા દરમિયાન તેઓ દરેક મોરચે કેટલીક ઐતિહાસિક પહેલ કરી ચુક્યા છે. બીજી બાજુ કેટલાક લોકલક્ષી નિર્ણય લઇ ચુક્યા છે. તેમની ભારતમાં લોકપ્રિયતા આજની તારીખમાં પણ ખુબ વધારે છે. તેમના કામને લઇને વિરોધીઓ પણ વાંધો ઉઠાવે તેવી સ્થિતીમાં નથી.

મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા બાદથી જ મોદીએ દિન રાત એક કરીને ભાજપની લોકપ્રિયતાને ચરમસીમા ઉપર લઇ જવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મળી ગઇ હતી. મોદીએ ભાજપને દેશમાં ફરી સત્તામાં લાવતા પહેલા ગુજરાતમાં ત્રણ વખત સતત જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. દેશના વડાપ્રધાન બનતા પહેલા જુદી જુદી જવાબદારી તેઓ ભાજપમાં સંભાળી ચુક્યા છે. ૧૯૯૫, ૧૯૯૮માં ચૂંટણીમાં પક્ષને જીત અપાવવામાં તેમની ભૂમિકા રહી હતી. મુખ્યમંત્રી તરીકે પણ મોદી ગુજરાતમાં હેટ્રિક નોંધાવી ચુક્યા છે. જુલાઈ ૨૦૦૭માં ગુજરાતના ઇતિહાસમાં તેઓ સૌથી વધારે સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી બની ગયા હતા. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સભ્ય તરીકે રહ્યા છે. મિડિયા, સ્કોલર્સ અને અન્યો મોદીને એક હિન્દુ નેતા તરીકે ગણે છે. મોદીએ પોતાની શક્તિશાળી છાપ ઉભી કરી છે જેના પરિણામ સ્વરુપે યુવા પેઢી પણ તેમની તરફ આકર્ષિત થઇ છે. તેમના વહીવટીતંત્રની ૨૦૦૨ની ગુજરાત હિંસા દરમિયાન ટિકા પણ થઇ હતી. આર્થિક નીતિઓના મામલે તેમની હંમેશા પ્રશંસા રહી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના તેઓ છ બાળકો પૈકીના ત્રીજા બાળક છે. તેઓએ  વડનગર રેલવે સ્ટેશન ખાતે તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. તે વખતે તેઓ બાળક હતા. નાનપણમાં જ તેઓ બસ સ્ટેન્ડ નજીક તેમના ભાઈની સાથે ચાના સ્ટોલ પણ ચલાવી ચુક્યા છે. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા. તેમને ફિલ્મોમાં ખુબ રસ હતો. મોદીના માતાપિતાએ તેમના બાળપણમાં લગ્ન નક્કી કરી દીધા હતા.

ઘાંચી જાતિની પરંપરા મુજબ તેમના લગ્ન થયા હતા. તેમના જશોદાબહેન સાથે લગ્ન થયા હતા. મોદી ૧૮ વર્ષના થયા ત્યારે તેમના લગ્ન થઇ ગયા હતા. મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાઈ ગયા હતા.

મોદી પ્રોફાઇલ..........

નામ

નરેન્દ્ર દામોદરદાસ મોદી

જન્મતારીખ

૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦

જન્મસ્થળ

વડનગર, ગુજરાત

રાજકીય પાર્ટી

ભાજપ

પત્નિ

જશોદાબહેન

ધર્મ

હિન્દુ

સંઘમાં જોડાયા

૧૯૭૧

ભાજપમાં સામેલ થયા

૧૯૮૫

ભાજપના સેક્રેટરી ચૂંટાયા

૧૯૮૮ (ગુજરાત એકમ)

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

૭મી ઓક્ટોબર ૨૦૦૧

મોદીના પૂર્વગામી

કેશુભાઈ પટેલ

વડાપ્રધાન બન્યા

મે ૨૦૧૪

પૂર્વગામી

મનમોહનસિંહ

(7:52 pm IST)