Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પ્રશાંત કિશોર જેડીયુમાં અંતે સામેલ : નવી અટકળનો દોર

નીતિશના ઉત્તરાધિકારી બને તેવી શક્યતા : આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની મહત્વની ભૂમિકા રહેશે : જેડીયુ ભારે ઉત્સાહિત

નવી દિલ્હી, તા. ૧૬ : તમામ અટકળો અને અંદાજો વચ્ચે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આજે પોતાની રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી દીધી હતી. નવી રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરતા પ્રશાંત કિશોરે જેડીયુમાં સામેલ થવાની જાહેરાત કરી છે. પટણામાં યોજાયેલી પાર્ટીની મિટિંગમાં બિહારના મુખ્યમંત્રી અને પાર્ટી વડા નિતિશકુમારે પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. કિશોરને સામેલ કરવામાં આવ્યા બાદ નીતિશકુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર ભાવિ તરીકે છે. તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, નીતિશકુમારે પોતાના ઉત્તરાધિકારી તરીકે પ્રશાંત કિશોરને રજૂ કરી દીધા છે. પાર્ટીમાં તેમની સ્થિતિ ખુબ મજબૂત રહેશે. નીતિશકુમાર ટૂંક સમયમાં જ પ્રશાંત કિશોરને સરકારમાં પણ સામેલ કરી શકે છે. આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેમની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી શકે છે. પ્રશાંત કિશોર એવા સમયમાં જેડીયુમાં સામેલ થયા છે જ્યારે નીતિશકુમારની સામે ફરી એકવાર મજબૂત અસ્તિત્વ બચાવવા માટે પડકાર છે. ૨૦૧૯ સામાન્ય ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની અંદર ભાજપ સાથે બેઠકોની વહેંચણીને લઇને છેલ્લા કેટલાક મહિનાથી અસમંજસનો દોર ચાલી રહ્યો છે. ભાજપ સાથે વાત ન બનવાની સ્થિતિમાં નીતિશકુમારની મહાગઠબંધનમાં ફરી વાપસીની શક્યતાઓ ચકાસવામાં આવી હતી. લાલૂ અને કોંગ્રેસ બંનેનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેજસ્વી યાદવના જિદ્દી વલણના કારણે આ બાબત શક્ય બની નથી. તેજસ્વી યાદવ હંમેશા નીતિશકુમારની વાપસીનો વિરોધ કરતા રહ્યા છે. બંને કવાયતમાં પ્રશાંત કિશોર નીતિશકુમારના દૂત તરીકે રહ્યા છે. નીતિશની પાર્ટીમાં પ્રશાંત સામેલ થયા બાદ હવે પ્રશાંત કિશોરની ભૂમિકા વધી જશે. તેમની પાસે પુરતો સમય પણ છે. નીતિશકુમાર પણ તમામ મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયો અને અન્ય જવાબદારી પ્રશાંત કિશોરને સોંપી શકે છે. પાર્ટીને બિહારમાં પોતાની તાકાત ઉપર ચૂંટણી લડવા માટે તૈયારી કરવાની રણનીતિ ઉપર પ્રશાંત કિશોરને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. પ્રશાંત કિશોર નીતિશકુમારની સાથે એ વખતે જોડાયા હતા જ્યારે બંનેએ એકબીજા સામે શરત મુકી હતી. કેટલીક શરતો પ્રશાંત કિશોર દ્વારા પાળવામાં આવી હતી. પ્રશાંત કિશોર વિતેલા વર્ષોમાં ખુબ જ સફળ સાબિત થઇ ચુક્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં તેમની ભૂમિકા ચાવીરુપ રહી શકે છે. લોકસભાની ચૂંટણી આડે ખુબ ઓછો સમય રહ્યો છે ત્યારે જેડીયુમાં તેમની એન્ટ્રી ચર્ચા બિહારના રાજકારણમાં જોવા મળી રહી છે.

(12:00 am IST)