Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલ મૃત્યુથી વાજપેયી આખરે હાર્યા : ૯૩ વર્ષની વયે અવસાન

છેલ્લા નવ સપ્તાહથી એમ્સમાં સારવાર હેઠળ રહ્યા બાદ નિધન : દેશના ત્રણ વાર વડાપ્રધાન રહેલા વાજપેયીને અનેક પ્રકારની તકલીફો હાલ થઇ : ભારત રત્નથી સન્માનિત વાજપેયીએ ૫.૦૫ વાગે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી,તા. ૧૬ : કાલ કે કપાલ પર લિખને મિટાને વાળો અટલ અવાજ આજે હંમેશ માટે ખામોશ થઇ જતાં દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આજે બપોર બાદ એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. શરીરના અનેક ભાગ વધતી વયના કારણે કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખુબ બગડી ગઈ હતી. ત્યારબાદથી જ તેમના આરોગ્યને લઇને કોઇ આઘાતજનક સમાચાર આવશે તેને લઇને છેલ્લા ૨૪ કલાકથી લોકો ચિંતિતરીતે વિચારી રહ્યા હતા અને આખરે આંજે પાંચ વાગે ચિંતા મુજબ જ નિરાશાજનક સમાચાર આવ્યા હતા અને વાજયેપીના અવસાન અંગેના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમના આરોગ્યને લઇને બુધવારથી જ તબિયત બગડી હતી. છેલ્લા ૨૪ કલાકથી તેમની તબિયત ખુબ જ ગંભીર હતી. આજે સવારે મેડિકલ બુલેટિન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં કોઇપણ સુધારો થઇ રહ્યો નથી. ત્યારબાદ એમ્સમાં તેમને મળવા માટે લોકો આવી રહ્યા હતા. છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. ડો. રણદીપ ગુલેરિયા છેલ્લા ત્રણ દશકથી વાજપેયીની તબિયત ઉપર નજર રાખી રહ્યા હતા. એમ્સમાં પણ તેમની ટીમ વાજપેયીની તબિયત નજર રાખી રહી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન ડિમેન્શિયા નામની બિમારીથી ગ્રસ્ત હતા. આ બિમારીમાં કોઇપણ વ્યક્તિ ભુલવાની ટેવ ધરાવે છે અને વિચારવા અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. ડિમેન્શિયા કોઇ ખાસ બિમારીનું નામ નથી પરંતુ એવા લક્ષણોને કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની યાદશક્તિ કમજોર થઇ જાય છે અને પોતાના દરરોજના કામ યોગ્યરીતે કરી શકતા નથી. તેમનામાં શોર્ટટર્મ મેમરી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ડિમેન્શિયાના મોટાભાગના કેસોમાં ૬૦થી ૮૦ ટકા કેસ અલમાઇજરના હોય છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિના મૂડમાં વારંવાર ફેરફાર થાય છે. તેઓ વહેલીતકે પરેશાન થઇ જાય છે. આ પ્રકારના લોકો મોટાભાગે ઉદાસ રહે છે. વાજપેયીની તબિયતને લઇને છેલ્લા ૨૪ કલાકથી ભારે સસ્પેન્સની સ્થિતિ રાખવામાં આવી હતી. છેલ્લા ૯ સપ્તાહથી એમ્સમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકથી લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર હતા. આઈસીયુમાં તબીબોની ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ૯૩ વર્ષીય વાજપેયીને બચાવી શકાયા ન હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.

(7:48 pm IST)