Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આસામ-બિહારમાં પુરની સ્થિતિ વણસી : મૃતાંક ૬૦

ઉત્તરપ્રદેશમાં પણ વરસાદના કારણે ૧૪ના મોત : આસામમાં ૩૦ જિલ્લાઓ અને બિહારમાં ૧૬ જિલ્લાઓ પુરના સંકજામાં આવ્યા : બિહારમાં મોત આંક ૩૬ થયો

ગુવાહાટી-પટણા,તા. ૧૬: બિહાર અને આસામાં પુરની સ્થિતી આજે વઘારે વણસી ગઇ હતી. આ બે રાજ્યોમાં પુર અને ભારે વરસાદ સાથે સંબંધિત બનાવોમાં મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચી ગયો છે. બિહારમાં પુરના કારણે ૩૬ લોકોના મોત થઇ ગયા છે. જ્યારે આસામમાં ૨૪ લોકોના મોત થયા છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. બંને રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. સ્થિતીમાં સુધાર થવામાં હજુ પણ સમય લાગી શકે છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ૧૪ લોકોના મોત થયા છે. બે રાજ્યો સાથે ઉત્તરપ્રદેશને પણ આવરી લેવામાં આવે તો મોતનો આંકડો ૭૪ ઉપર પહોંચી ગયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો તો જળબંબાકાર થઇ ગયા છે. એકબાજુ આસામમાં પુરની સ્થિતી વધારે વણસી ગઇ છે.

રાજ્યમાં ૩૩ જિલ્લાઓ પૈકી ૩૦ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે. આસામમાં મોતનો આંકડો વધીને ૨૪ ઉપર પહોંચી ગયો છે.૪૫ લાખ લોકોને માઠી અસર થઇ છે.ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  અસરગ્રસ્ત તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે ૧૫૩૨૧૧ હેક્ટર પાક જમીનને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. જે ૩૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે.  આસામમાં પુરના પરિણામ સ્વરુપે વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં ૭૦ ટકા પાણી ઘુસી ગયા છે. ૯૫ કેમ્પોમાં પણ પાણી ઘુસી ગયા છે.આસામમાં અડધાથી પણ વધારે જિલ્લાઓ બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પુરના કારણે જળબંબાકાર થઇ ગયા છે.આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે વર્તમાન પુરની સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલા અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી છે. આસામમાં કાજીરંગા પાર્કમાં પણ પુરના પાણી ઘુસી ગયા છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે.સ્થિતીમાં હાલમાં સુધારો થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી.   

 પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૬ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૧૬ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ  ગઈ છે. રાજ્યના ૧૬  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે મોનસુની વરસાદના કારણે સ્થિતિ વણસી ગઈ છે. બિહારમાં ૩૬મોત થયા છે.

રાજ્યમાં અસરગ્રસ્ત ૧૬ જિલ્લામાં ૨૫.૭૧ લાખ લોકોને અસર થઇ છે.  સિતામડીમાં સૌથી વધારે ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે અરનિયામાં નવ લોકોના મોત થયા છે. કિસનગંજમાં ચાર લોકોના મોત થયા છે.  ઉત્તરપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં વરસાદ સાથે સંબંધિત બનાવોમાં ૧૪ લોકોના મોત થયા છે. ભોગ બનેલા લોકોના પરિવાર માટે મદદરૂપ થવા માટે ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ જારી કરવામા ંઆવ્યા છે. પંજાબ અને હરિયાણામાં પણ બારે વરસાદ થઇ રહ્યો છે. પટિયાળા જિલ્લામાં ઘાઘર નદીમાં પાણીની સપાટી ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગઇ છે. કેરળમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આના કારણે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. છ જિલ્લામાં૨૪ કલાકમાં ૨૦૪ મીમી વરસાદ થશે.

(4:09 pm IST)