Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ભારતીય વિદ્યાર્થીઓને મળશે લાભ :બ્રિટને પોસ્ટ સ્ટડી વિઝાની સમયમર્યાદા વધારી : અભ્યાસ પૂર્ણ થયા બાદ કરી શકશે નોકરી

પીએસડબ્લ્યુ વીઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં નોકરી કરી શકે: ગયા વર્ષે બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ દ્વારા શરૃ કરાયેલા આ વિઝાની ડેડલાઇન વધારી ૨૭ સપ્ટેમ્બર કરાઈ

નવી દિલ્હી : બ્રિટનમાં વર્ક(પીએસડબ્લ્યુ) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહ પૈકીના એક છે.પીએસડબ્લ્યુ વીઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં નોકરી કરી શકે છે અથવા નોકરી શોેધી શકે છે. આ વીઝા ગયા વર્ષે બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ દ્વારા શરૃ કરવામાં આવ્યા હતાં

  અરજી જરૃરિયાતો હેઠળ કોવિડ-૧૯ લોકડાઉનને ધ્યાનમાં રાખીને પીએસડબ્લ્યુ વિઝા ઇચ્છુક વિદ્યાર્થીઓને ૨૧ જૂન સુધી અહીં રહેવાની આશા હતી. જો કે ગૃહ મંત્રાલયે ગયા સપ્તાહમાં પોતાના દિશાનિર્દેશોમાં સંશોધન કરીને આ સમયમર્યાદા વધારીને ૨૭ સપ્ટેમ્બર કરવામાં આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (એનઆઇએસયુ), યુકે દ્વારા આ સમયમર્યાદા વધારવાની છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી.

કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટમાં વૃદ્ધિ થયા પછી ૨૩ એપ્રિલે ભારત પર યાત્રા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. યોગ્યતા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટન આવવાની મંજૂરી છે પણ પરંતુ અનેક વિદ્યાર્થીઓને પોતાની યોજના સ્થગિત કરવાનાી ફરજ પડી છે કારણકે બ્રિટનમાં પ્રવેશ પછી તેમને ફરજિયાત દસ દિવસ સુધી હોટેલમાં આઇસોલેશનમાં રહેવું પડે છે જેના કારણે ૧૭૫૦ પાઉન્ડનો ખર્ચ વધી જાય છે.

એનઆઇએસયુ, યુકેના અધ્યક્ષ સનમ અરોડાના જણાવ્યા અનુસાર અમને આનંદ છે કે બ્રિટનના ગૃહ મંત્રાલયે અમારી માગ સ્વીકારી લીધી છે. બ્રિટનના આ નિર્ણયને કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓને મદદ મળશે કે જેઓ ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા કરવામાં અસમર્થ છે.

(10:44 am IST)