Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ત્રાસવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે!

અગાઉથી ઘુસેલા નરાધમો ઉપર પાકિસ્તાનથી દબાણ

જમ્મુ તા. ૧૭ : એલઓસી નજીકના વિસ્તારોમાં અનેક ત્રાસવાદીઓ ઘૂસ્યા હોવાની અને તેઓ કોઇ મોટા હુમલાની યોજના ઘડી રહ્યા હોવાનો રિપોર્ટ બાદ સશસ્ત્ર સેનાએ સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હંડવાડા જિલ્લામાં ૩૦થી ૩૫ ત્રાસવાદી છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી છે અને એમને શોધીને ઠાર મારવા માટે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ લોકો લોલાબના જંગલોમાં સંતાયા છે અને કહેવાય છે કે તાજેતરમાં જ તેઓ પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા છે.

આ રીતે જ અન્ય અનેક જૂથ બારામુલ્લા, ઉડી, ટીટવાલ વગેરે સ્થળોએ સંતાયા હોવાની શકયતા દર્શાવાઇ રહી છે. આ બધા જ વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યા છે.  ખરી રીતે તો આ ત્રાસવાદીઓ ચૂંટણી અગાઉ જ ભારતમાં ઘૂસ્યા હતા, પણ ચૂંટણી વખતે વધારાની સુરક્ષાને લીધે તેઓ કશું કરી શકયા નહોતા.

જોકે, હવે સરહદપારથી એમના પર દબાણ વધી રહ્યું હોવાની માહિતી મળી છે અને એ કારણસર ત્રાસવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હોવાનો અંદાજ સેનાના અધિકારીઓ સેવી રહ્યા છે.

(10:18 am IST)