Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સંરક્ષણ સંદેશવ્યવહાર નેટવર્ક માટે ૨૪,૦૦૦ કરોડ ફાળવાયા

સડેલા અનાજ, બટાટામાંથી ઇથેનોલ બનાવી પેટ્રોલમાં ભેળવાશેઃ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથીની નવરચનાને મંજૂર

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્ર સરકારે બુધવારે સંરક્ષણ સેવાના વૈકલ્પિક સંદેશવ્યવહાર નેટવર્ક માટેની રકમની ફાળવણીમાં બમણાથી વધુનો વધારો કરીને રૂપિયા ૨૪,૬૬૪ કરોડ કરી હતી.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે નેટવર્ક ફોર સ્પેકટ્રમ (એનએફએસ) પ્રોજેકટ માટેની રકમમાં રૂપિયા ૧૧,૩૩૦ કરોડનો વધારો કરાયો છે.સરકારે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવાના હેતુસર નાની સિંચાઇ યોજના માટે રૂપિયા ૫,૦૦૦ કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી.

સડેલા અનાજ, બટાટા, મકાઇ અને બીટમાંથી ઇથેનોલ બનાવીને તેને પેટ્રોલમાં ભેળવીને ચાલુ વર્ષે ઇંધણની આયાતમાં રૂપિયા ૪,૦૦૦ કરોડનો ઘટાડો કરવાની રાષ્ટ્રીય નીતિને પ્રધાનમંડળે બહાલી આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં અખાદ્ય તેલીબિયાંમાંથી બાયો-ડીઝલ અને કાકવી (મોલાસીસ)માંથી બાયો-ઇથેનોલને ફર્સ્ટ જનરેશન (વન-જી)નું બાયો-ફયુઅલ તેમ જ નગરપાલિકાના ઘન કચરામાંથી સેકધડ જનરેશન (ટૂ-જી)નું ઇંધણ બનાવાશે.

આ ઉપરાંત, બાયો-સીએનજી જેવા ઇંધણને થર્ડ જનરેશન (થ્રી-જી) ઈંધણ ગણવામાં આવશે.

મેટ્રો ટ્રેનના નેટવર્કને નોએડા સિટી સેન્ટરથી ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદની સીમાડે આવેલા સેકટર-૬૨ સુધી લંબાવવા માટેના રૂપિયા ૧,૯૬૭ કરોડના રોકાણને મંજૂરી અપાઇ હતી.

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથીના હોદ્દેદારો પરના ભ્રષ્ટાચારના આરોપને પગલે આ પરિષદની નવેસરથી રચના કરવા માટેના વટહુકમને કેન્દ્રના પ્રધાનમંડળે બહાલી આપી હતી.

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સંરક્ષણ સેવાના વૈકલ્પિક સંદેશવ્યવહાર નેટવર્કનું કામ ૨૪ મહિનામાં કામ પૂરું કરાશે.

નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ ('નાબાર્ડ') હેઠળ ભેગા કરવામાં આવનારા ભંડોળમાંથી રાજયોને નાની સિંચાઇ યોજના માટે ઓછા વ્યાજદરે નાણાં અપાશે.(૨૧.૭)

(11:48 am IST)