Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

યેદિયુરપ્પાઃ કલાર્કથી મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર

ચોખાની મીલમાં કામ કર્યુઃ કોલેજકાળથી આરએસએસ સાથે જોડાયેલઃ ૨૦૦૭માં પહેલીવાર મુખ્યમંત્રી બનેલ

વાપી, તા.૧૭ : કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ બાદ રાજયપાલશ્રી વજુભાઇ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપી ૧૫ દિવસમાં બહુમત સાબીત કરવા જણાવેલ. આજે ભાજપના યેદુરપ્પાએ ત્રીજીવાર કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી.

ચોખાની મીલમાં કામ કરતા યેદુરપ્પા ધીમે-ધીમે રાજકીય પગથીયા ચડતા-ચડતા કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. તેમનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૩ ના રોજ માંડયા જીલ્લાના બુકાનાકેરના લીંગાયત પરિવારમાં માતા પટ્ટુતાયમ્મા તથા પિતા સિદ્ધલીંગપ્પાના ઘરે થયો હતો.

માત્ર ૪ વર્ષની વયે માતાનો સાથ છૂટ્યો. પરંતુ યેદુરપ્પા હિંમત ના હાર્યા. કોલેજમાં સ્નાતક સુધી ડિગ્રી મેળવી. માત્ર ૩૦૦ રૂપિયામાં ૧૯૬૫માં તેમની નિયુકતિ સામાજીક કલ્યાણ વિભાગમાં કલાર્ક તરીકે થયેલ પણ તેઓએ નોકરી છોડીને શિકારીપુરા સ્થિત વિરભદ્ર શાસ્ત્રીની ચોખાની મીલમાં કલાર્ક તરીકે કામ કર્યુ. અહિં તેમની કાબેલીયત જોઈને વીરભદ્ર શાસ્ત્રીએ પોતાની પુત્રી મિત્રાદેવી સાથે યેદુરપ્પાના લગ્ન કરાવી આપ્યા. ૧૯૭૦ માં તેમણે જાહેર સેવાઓની શરૂઆત કરી હતી. ૧૯૭૨માં તેમને શિકારીપુરા તાલુકા જનસંઘના અધ્યક્ષ બનાવાયા હતા.

જયારે ૧૯૭૭માં જનતા પાર્ટીના સચિવ બન્યા બાદ તેઓ ફુલટાઇમ રાજકારણમાં સક્રીય થઇ ગયા હતા. ૧૯૮૩માં પહેલીવાર તેઓ ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ સતત ૭ વખત જીત્યા છે. ૧૯૮૮માં તેમને કર્ણાટકના બીજેપીના અધ્યક્ષ બનાવ્યા. ત્યારથી લઈ અત્યાર સુધી તેઓ ત્રણ વખત આ પદ સંભાળી ચૂકયા છે. તો ૧૯૯૪માં વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ વિપક્ષી દળના નેતાનું પદ પણ શોભાવી ચૂકયા છે.

તેઓ કોલેજકાળ દરમિયાન આરએસએસમાં પણ સક્રિય રહયા હતા. કર્ણાટકના રાજકારણમાં ૨૦૦૭માં જબરી ઉથલ-પાથલ થતા રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. તેવામાં જેડીએસ અને ભાજપે મતભેદો ભુલી સરકાર બનાવી હતી. અને યેદુરપ્પા પહેલીવાર કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

જો કે ૨૦૦૭ ની ગઠબંધન સરકાર ફકત એક અઠવાડીયું ચાલી હતી. ૨૦૦૮માં થયેલ ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતું. અને એકવાર ફરીથી યેદુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. જમીન કોૈભાંડ અંગે લોકાયુકતનો રીપોર્ટ આવતા તેમણે ફરી ખુરશી છોડવી પડી હતી.

ગઈકાલે રાત્રે આશરે ૧૧ વાગ્યે કોંગ્રેસ સુપ્રિમ કોર્ટમાં પહોંચી અને અરજી દાખલ કરી અને યેદુરપ્પાના શપથગ્રહણ સમારોહ પર રોક લગાવવાની માંગ કરી. રાત્રે જ તેમના પર સુનાવણીનો આગ્રહ રાખ્યો.

જજ શ્રી દિપક મિશ્રા સહિત ત્રણ જજોની બેન્ચે રાત્રે આશરે ૨ વાગ્યે સુનાવણી શરૂ કરાવી જે વહેલી સવાર સુધી ચાલી અને નિર્ણય આપ્યો કે યેદુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવાઈ શકાશે નહિં. સુપ્રિમ કોર્ટના જજશ્રીએ યેદુરપ્પા સહિત સંબંધિત લોકોને નોટીસ જારી કરીને જવાબ આપવાનો આદેશ કર્યો છે.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે આગળની સુનાવણી આજે સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી ટાળી દીધી છે. આ બાજુ યેદુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને હવે તેમણે કોર્ટને ખુલાસા આપવા સાથે ૧૫ દિવસમાં બહુમતી પુરવાર કરવાની રહેશે.

હજુ મતદાન ન થયુ હતુ ત્યારે જ યેદુરપ્પાએ ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યુ હતું કે ચૂંટણીમાં અમે જ જીતીશુ... હું જ મુખ્યમંત્રી બનીશ અને ૧૭મીએ શપથ લઈશ અને ખરેખર આ કરી બતાવ્યુ.

ડ્રેસકોર્ડમાં ચોક્કસ પસંદગી ધરાવતા યેદુરપ્પા ભાગ્યે જ શૂટબુટ પહેરે છે. મોટાભાગે તેઓ લાઈટ કલરની સફારી પહેરવાનું વધુ પસંદ કરે છે. બી. એસ. યેદુરપ્પા એક એવુ નામ જેના વિના બીજેપી - કર્ણાટકમાં પોતાની ઓળખ મેળવી શકતી નથી.

હાલમાં યોજાયેલ કર્ણાટક ચુંટણીમાં ભાજપે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ખેલેલો દાવ સફળ થતા તેઓએ આજે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા છે.(૩૭.૯)

(11:39 am IST)