Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પાકિસ્તાન : નવાઝ શરીફના લાઇવ ભાષણો પર પ્રતિબંધ મુકવા કોર્ટમાં અરજી

ઈસ્લામાબાદ તા. ૧૭ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના લાઈવ ભાષણો પર પ્રતિબંદ મુકવાની માગ સાથે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાની ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આ અરજીમાં નવાઝ શરીફ દ્વારા વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં કરવામાં આવેલા આતંકી હુમલાને લઈને જે નિવેદન કરવામાં આવ્યું છે, તે અંગે પણ ક્રિમિનલ કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા અને વકીલ બાબર અવને સ્થાનિક વકીલોની સહમતી સાથે આ અરજી દાખલ કરી છે. મળતી માહિતી મુજબ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ૩ મેના રોજ નવાઝ શરીફે કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેટલીક ગુપ્ત માહિતી જાહેર કરવાની ધમકી આપી હતી.

આ અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, કોર્ટ નવાઝ શરીફ સામે કાયદાકીય પ્રક્રિયા શરુ કરવાની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને (FIA) પરવાનગી આપે. આ અરજીના સંદર્ભમાં જસ્ટિસ આમિર ફારુખે FIAના ડાયરેકટર જનરલ, પાકિસ્તાન ઈલેકટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) અને પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને (PTA) જવાબ આપવા જણાવ્યું છે. ન્યાયાધીશે પૂછ્યું કે, શું કોર્ટ કોઈના ભાષણને આ રીતે પ્રતિબંધિત કરી શકે?

આપને જણાવી દઈએ કે, ગત સપ્તાહે પાકિસ્તાની અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં નવાઝ શરીફે પહેલીવાર એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે. નવાઝ શરીફના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

(11:29 am IST)