Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઊંધા સૂઈ જવાનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓકિસજન લેવલ ફટાફટ વધારી દેશે

બે વખત ઉંધા સૂઇ ઉંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધશે

વડોદરા, તા.૧૭: કોરોના થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓકિસજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓકિસજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓકિસજન લેવલ વધારવા માટે બહારથી ઓકિસજનના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે દ્યરે પણ ઓકિસજનની માત્રા વધારી શકે છે. તો સાથે જ ઓકિસજનની માત્રા વધારવા માટે હોમિયોપેથીની દવા કારગત નીવડે કે કે કેમ? લોકોના મનમાં મૂંઝવતા અનેક સવાલોનો જવાબ હોમિયોપેથીક તબીબે આપ્યો છે.

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે શરીરમાં ઓકિસજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓકિસજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓકિસજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓકિસજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓકિસજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યકિત દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.

ઓકિસજન લેવલ વધારવાની ટિપ્સ અંગે તેમણે કહ્યું કે, યોગમાં દિવસમાં બે વખત ૧૫ મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓકિસજન લેવલ વધે છે. સાંજે રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ. હોમિયોપેથીકની ઇમ્યુનિટી વધારવાની ગોળી આવે છે, પરંતુ ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી. કોરોનાગ્રસ્ત દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓકિસજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

(4:03 pm IST)