Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

તાજ મહેલ ખુદાની સંપત્તિ છે : વક્ફ બોર્ડ નરમ પડ્યું

એએસઆઈની દેખરેખને લઇને કોઇ વાંધો નથીઃ ૨૭મી જુલાઈના દિવસે મામલામાં વધુ સુનાવણી કરાશે

નવીદિલ્હી,તા. ૧૭: ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે તાજમહેલ પર માલિકી હકને લઇને પોતાનું વલણ હળવું કર્યું છે. વકફ બોર્ડે આજે કહ્યું હતું કે, તાજમહેલના વાસ્તવિક માલિક ભગવાનની પાસે છે જ્યારે કોઇ સંપત્તિ વક્ફને આપવામાં આવે છે ત્યારે તે સંપત્તિ અલ્લાહની સંપત્તિ બની જાય છે. આ પહેલા વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે, તેઓ પોતે તાજમહેલના માલિક છે. વક્ફ બોર્ડે કહ્યું હતું કે, એએસઆઈ દ્વારા તાજમહેલની દેખરેખ કરવામાં આવે તેને લઇને તેમને કોઇ વાંધો નથી પરંતુ  નમાઝ અને ઉર્સ જારી રાખવાના અધિકાર યોગ્યરીતે રહે તે જરૂરી છે. આના ઉપર એએસઆઈના અધિકારીના નિર્દેશ લેવા માટે સમય માંગવામાં આવ્યો છે. મામલાની આગામી સુનાવણી ૨૭મી જુલાઈના દિવસે હાથ ધરવામાં આવનાર છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે વક્ફ બોર્ડની દાવેદારી દર્શાવવા પર શાહજહાંના હસ્તાક્ષરવાળા દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ખંડપીઠે વક્ફ બોર્ડના વકીલોને સ્પષ્ટ સૂચના આપી હતી. વક્ફના વકીલોએ કહ્યું હતું કે, તેમની રજૂઆત તર્કદાર છે અને તેમાં અનેક પુરાવા પણ જોડાયેલા છે. વક્ફ ોર્ડના વકીલને કહેવામાં આવ્યું હતું કે, પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં ૧૬૩૧માં તાજમહેલનું નિર્માણ કરનાર શાહજહાંએ  બોર્ડની તરફેણમાં વક્ફનામા કરીને આની મંજુરી આપી હતી. જો આવું છે તો આ સંદર્ભમાં દસ્તાવેજો રજૂ કરવા કોર્ટે કહ્યું હતું. વક્ફ બોર્ડે કહ્યું હતું કે, આવા કોઇ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. એએસઆઈ દ્વારા કોઇ માંગ કરાઈ નથી.

(7:45 pm IST)