Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

20મી સુધીમાં ચાર વર્ષનો પ્રગતિ રિપોર્ટ સોંપવા તમામ પ્રધાનોને પીએમઓની તાકીદ

સિદ્ધિઓની યાદી અને ભાજપના વચનોની સરખામણી કરાશે :ચાર પ્રધાનોની સમિતિ બનાવાઈ

નવી દિલ્હી :તમામ પ્રધાનોને પોતાના મંત્રાલયનો ચાર વર્ષનો પ્રગતિ રિપોર્ટ સોંપવા વડાપ્રધાન કાર્યાલયે તાકીદ કરી છે વડાપ્રધાન કાર્યાલયે તમામ પ્રધાનોને કહ્યું છે કે તેઓ પોતાની સિદ્ધિઓની યાદી તૈયાર કરે અને મે-2014ની લોકસભાની ચૂંટણીના ઘોષણાપત્ર દરમિયાન ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો સાથે સરખામણી કરે. આ માટે ચાર પ્રધાનોની સમિતિ બનાવાઈ છે જેમાં કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલ, માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની, ગ્રામ્ય વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ કરાયો છે
   નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 20મી એપ્રિલ સુધી પોતાના ચાર વર્ષનો પ્રગતિ રિપોર્ટ સોંપે. વડાપ્રધાન મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અને તેઓ વીસ એપ્રિલે રાત્રે સ્વદેશ પાછા ફરવાના છે. તેઓ પ્રધાન સ્તરની રિપોર્ટનો અભ્યાસ કરવા ઈચ્છે છે અને મે માસમાં ત્રણ સપ્તાહ માટે મીડિયા દ્વારા ચૂંટણી જંગ શરૂ કરી શકાય. આ પ્રસ્તાવ 2019ની લોકસભાની ચૂંટણીઓ માટે પાર્ટીની તૈયારી તરીકે જોવામાં આવે છે.

   મોદીને કાળાધનની સમસ્યાનો સામનો કરવા, સ્માર્ટસિટીમાં વૃદ્ધિ, ગંગાની સફાઈ, રોજગાર, આર્થિક સુધારણા, એફડીઆઈ, ગરીબો માટે એલપીજી, મફત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન તથા અન્ય યોજનાઓની સિદ્ધિઓના ઉલ્લેખ કરવાની આશા છે.
  મોદી સરકારની સિદ્ધિઓની એક બુકલેટ પણ બનાવામાં આવશે. તેનું મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય પીઆઈબીની માહિતીનો ઉપયોગ કરીને આ પુસ્તકનું પ્રકાશન કરીને તેને લોકોમાં વિતરીત પણ કરશે. પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ રાજકીય સંભાવનાઓની સાથે પોતાનો સ્ટેટ્સ રિપોર્ટ પણ તૈયાર કરે. સરકારની યોજનાઓથી જનતાને થયેલા ફાયદાનો પણ પ્રચાર કરવામાં આવે.

(7:07 pm IST)