Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'' : ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટ ન્‍યુયોર્કમાં FIAના ઉપક્રમે ૮ માર્ચના રોજ કરાયેલી ઉજવણી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : ૮મી માર્ચ, ૨૦૧૮ને ગુરુવારે ઇન્ડિયન કોન્સોલેટ, ન્યુયોર્કમાં એફઆઇએ દ્વારા વુમન્સ એમ્પાવરમેન્ટને વિશિષ્ટતા આપતો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. પાંચ અગ્રણી સ્ત્રીઓએ ૧૦૦થી પણ વધુ એકઠી થયેલ મેદનીને સંબોધી હતી. સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને વાણીજ્ય, શૈક્ષણિક, ઉપરાંત સંગીતમાં પોતાનું આગવું સ્થાન બનાવી ચૂકેલ સ્ત્રીઓએ સ્ટેજને જાજરમાન બનાવ્યું હતું.

            કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઇ હતી જેમાં એફઆઇએના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, એફઆઇએના પ્રેસીડન્ટ સૃજ્લ પરીખ, ટીવી એન્કર નિશા માથુર, લેખક માયરા ગુડફ્રાય, સોશ્યલ વર્કર ઈશિતા ચક્રબર્થી, મ્યુઝીશિયન અને સફળ ઔધ્યોગિકા ચન્દ્રિકા ટંડન, ખ્યાતનામ પ્રોફેસર શ્રી ગાયત્રી ચક્રવર્તી સ્પીવાક, વાયોલિનવાદક ડેઇઝી જોપ્લીન, તથા કોન્સુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી અને એમના પત્નીનો સમાવેશ હતો. આ કાર્યક્રમમાં મિસ ઇન્ડિયા યુએસએ તથા અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું અલગ સ્થાન બનાવનાર સ્ત્રીઓનો પણ સમાવેશ હતો જેઓને શ્રી સંદીપ શક્રવર્તી દ્વારા શાલ પ્રદાન કરી સન્માનિત કરાયા હતાં. ૧૯૦૯માં "ઇન્ટરનેશનલ વર્કિંગ વુમન" તરીકે ઓળખાતો દિવસ યુએનની સંમતી પછી ૧૯૭૫માં "ઇન્ટરનેશનલ વુમન્સ ડે" તરીકે દર વર્ષે માર્ચની આઠમીએ ઉજવાતો થયો.

            કાર્યક્રમના આયોજક અને એફઆઇએના પ્રેસીડન્ટ સૃજલ પરીખે સૌને સંબોધિત કરતાં કહ્યું કે " હું તો આમ પણ રોજ શશક્ત પ્રતિભા ધરાવનાર સ્ત્રીઓથી ઘેરાયેલ હોઉં છું, મારી માતા, મારી પત્ની, મારી પુત્રી, અને મારાં મિત્રો." તેઓએ એફઆઇએની પીઠબળ સમાન કમિટીની દરેક સ્ત્રીનો આભાર માનતા કહ્યું કે આ કાર્યક્રમની સફળતમાં પોતાનો ફાળો આપનાર દરેક મહિલાનો હાથ છે જેમણે અથાગ પ્રયત્નો કર્યા છે.

            કોન્સુલ જનરલ સંદીપ ચક્રવર્તીએ દરેકને સંબોધતા જણાવ્યું હતું કે " આજના આ ખાસ દિવસે હું દરેક મહિલાને અભિનંદન આપવા માંગું છું જેઓ પોતાની મહેનત અને પરિશ્રમથી પોતાનું ખાસ સ્થાન કાયમ કર્યું છે." આગળ વધતાં એમણે એમ પણ જણાવ્યું કે આપણે દેશ વિદેશમાં સ્ત્રીઓને દેવી સમાન સંમ્માન આપતાં હોવા માટે પ્રખ્યાત ભલે હોઈએ પણ આપણાજ દેશમાં સ્ત્રીઓ ઘર અને કાર્યક્ષેત્રમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એમનું માન જાળવવામાં આપણે ઉણા ઊતરીએ છીએ. ત્યાર બાદ એમણે આમંત્રિત મહેમાનનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો અને સ્ટેજ પર તેઓને સ્ટેજ પર આમંત્રિત કર્યા હતાં.

            ટીવીના જાણીતાં એન્કર નિશા માથુરે સંબોધિત કરતાં કહ્યું હતું કે વુમન્સ એમ્પાવરમેન્ટ ફક્ત મતાધિકાર મેળવવા પુરતો ના હોવો જોઈએ પરંતુ રોજબરોજની ગતિવિધિઓમાં પણ તમારો મત કે મંતવ્ય હોવું એટલુજ જરૂરી છે જેમકે, પરણવા માટે પાત્રની પસંદગી, કોને ક્યારે અને ખાસ તો લગ્નજીવન શરુ પણ કરવું છે કે નહિ. નીશાજી એ આગળ ઉમેરતાં જણાવ્યું કે "એમ્પાવરમેન્ટ નો સાચો અર્થ એ છે કે કોઈની બાબત સાંભળવામાં, એના વિષે બોલવામાં, કે જરૂરી નિર્ણય લઇ એનો નિકાલ લાવવામાં ખચકાટ ના હોવો જોઈએ." તેઓ ટીવી એશિયા અને સોની ટીવીના બે કાર્યક્રમોના સફળ લેખક તથાં પ્રસ્તુતા પણ છે. લેખક માયરા ગુડફ્રાયએ કોઇપણ સંજોગોમાં પોતાના જીવન તથા દિનચર્યાને કઈ રીતે સંતુલિત રાખવી એ માટેની ટિપ્પણીઓ આપી હતી. એમણે જણાવ્યું હતું કે નકારાત્મકતા ને બને એટલી જીવનમાંથી નાબુદ કરી આધ્યાત્મિકતા અને  હકારાત્મક પોષણને પ્રાધાન્ય આપવું જોઈએ. જયારે શોશ્યલ વર્કમાં અગ્રણ્ય એવાં ઈશિતા ચક્રબર્થીએ જણાવ્યું કે યુએસએ પોલીટીક્સમાં ફક્ત ૨૬%જ સ્ત્રીઓનું પ્રમાણ છે જે દુખદ બાબત છે. એમણે એ વાત પર વજન મૂકતાં અપીલ કરી હતી કે પોલીટીકલ સેક્ટરમાં હવે સમય આવી ગયો છે કે સ્ત્રીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવવું જ રહ્યું જેથી આપણે આપણી વાત, વિચાર, હક્ક, માન્યતા, આપણું કલ્ચર, અને વિટંબણા સ્ટેટ લેજિશ્લેશન માં રજુ કરી આવનાર પેઢી માટે એક માળખું તૈયાર કરી શકીએ.

            ચંદ્રિકા ટંડને ખેદ સાથે કહ્યું કે એનવાયયુ યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગ વિભાગમાં ફક્ત ૪૧% સ્ત્રી ઉમેદવારી નોંધાય છે પણ તેઓની સફળતા બે સ્ત્રી ઉમેદવારી બરાબર એક પુરુષ જેમ ગણી એનું આભિમાન લેવા બરાબર છે. તેઓએ ફક્ત સ્ત્રીઓને જ નહિ પુરુષોને પણ એક મંત્ર આપ્યો, " I am perfection, you are perfection, we all are perfection."  એમણે જણાવ્યું કે આ મંત્ર એક હકારાત્મક અભિગમનું કામ કરે છે. પ્રોફેસર શ્રી ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકે "ફેમિનિઝમ" પર પોતાનું મંતવ્ય જણાવતાં કહ્યું હતું, " ફેમિનિઝમ એ પુરુષ માનસિકતાને સ્ત્રી અભીગમમાં ઢાળીને એકત્વની પરાકાષ્ઠાને અનુભવવામાં છે. અલગતાવાદ લિંગભેદ ને જન્મ આપે છે અને એ સ્ત્રીઓના વિકાસ અને સફળતામાં કોઈ કાળે ઉપયોગી ના બની શકે." તેઓએ લિંગભેદને નાબુદ કરી સ્ત્રીઓને અપીલ કરી હતી કે સમોવડી બનાવું એ એજ પ્રક્રિયા છે જેમાં તમે જાહેરાત કરો છો કે તમે અલગ કે કંઇક ન કરી શકવાની ક્ષતિ ધરાવો છો જે માન્ય ના જ હોવું જોઈએ. આ કાર્યક્રમની અલાયદી આગવી ઓળખ હતી ઈંગ્લાંડની વાયોલિનવાદક હસમુખી ડેઇઝી જોપ્લીન જેણે વાયોલીન ના તાર રણઝણાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. તેણીએ સંગીતની આ ઔલોકિક સફર ત્રણ વર્ષની ઉંમરે શરુ કરી આ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. એણીએ રજુ કરેલ ત્રણ ગીતોમાંથી એક સ્વરચિત કૃતિનો પણ સમાવેશ હતો. મિસ જોપ્લીને સ્ટેજને સંગીતમય બનાવીં દીધું હતું.

            કાર્યક્રમનું સમાપન આભારવિધિ અને રાત્રીભોજન થી થયું. ત્યાં હાજર દરેકના ચહેરે સંતોષ તો ચમકતો જ હતો પરંતુ એફઆઇએની ટીમ દ્વારા થયેલ સફળ સંચાલન માટે પ્રસંશાનો આભાસ પણ હતો. તેવું FIA પ્રેસિડન્‍ટ શ્રી સૃજલ પરીખની યાદીમાં જણાવાયું છે.

(11:30 pm IST)