Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

નિર્ભયા ગેંગરેપ કેસમાં નરાધમોને ત્રીજી માર્ચે ફાંસી આપવા આદેશ

નિર્ભયા કેસમાં ત્રીજી વખત ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફાંસી આપવા માટેનો આદેશ આપ્યો : નરાધમો પાસે હજુ પણ કેટલાક કાનૂની વિકલ્પ હોવાનો અપરાધીના વકીલ દ્વારા દાવો

મુંબઇ, તા.૧૭ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય અપરાધીઓની સામે આજે ત્રીજી વખત ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. દિલ્હીના પટીયાલા હાઉસ કોર્ટે દોષિતોને ત્રીજી માર્ચના દિવસે સવારે છ વાગે ફાંસી આપવા માટેનો આદેશ કર્યો છે. નિર્ભયાના પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. બીજી બાજુ દોષિતોના વકીલ એપી સિંહે હજુ પણ કહ્યું છે કે અપરાધીનીઓની પાસે કાનૂની વિકલ્પો રહેલા છે. મીડિયા અને રાજનેતાઓના દબાણના કારણે ફાંસીની તારીખ આવી છે. બીજી બાજુ નિર્ભયાની માતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમને આશા છે કે હવે ત્રીજી માર્ચના દિવસે ફાંસી આપવામાં આવશે. ગુનેગારોને તેમની સજા મળશે.

          જોકે કેટલાક અનુભવોને ધ્યાનમાં લઈને તેમના કહેવા પર હજુ પણ જેટલી ખુશી દેખાઈ રહી નથી. બીજી બાજુ દોષિતોના વકીલોનું કહેવું છે કે તેઓ અક્ષય માટે નવી દયાની અરજી કરશે. પવનની પાસે પણ ક્યુરેટીવ પિટીશન અને રાષ્ટ્રીયપતિની પાસે દયાની અરજીનો વિકલ્પ છે. સુપ્રિમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં ચારેય દોષિતોને અલગ અલગ રીતે ફાંસી આપવાની માંગ કરતી કેન્દ્રની અરજીને પેન્ડીંગ રહેવાની બાબત દોષિતોને ફાંસી આપવા માટે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી નવી તારીખ આડે અડચણરૂપ નથી. આ પહેલા આજે જાણવા મળ્યું હતું કે દોષિત મુકેશના વકિલ વૃંદા ગ્રોવર રજા ઉપર છે. ત્યારબાદ રવિ કાજીને મુકેશ તરફથી રજુઆત કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ત્રણેય અપરાધીઓની કોઈ અરજી હવે કોર્ટમાં પેન્ડીંગ નથી. ત્રણની દયાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

         આવી સ્થિતિમાં નીચલી કોર્ટ ફાંસીની નવી તારીખ જારી કરી શકે છે. નિર્ભયા મામલામાં અગાઉ પણ બે વખત ડેથ વોર્ટ જારી કરવામાં આવ્યા છે જે પૈકી ૭મી જાન્યુઆરીના દિવસે ડેથ વોરંટ પહેલી વખત જારી કરાયું હતું. જ્યારે ૧૭મી જાન્યુઆરીના દિવસે પણ ડેથ વોરંટ જારી કરાયું હતું. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી. આ કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠ લિધા નથી. પહેલા કરતા ગુનાઓ વધ્યા છે.

         મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી.  બળાત્કારના કેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે. નિચલી કોર્ટે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે ચારેય અપરાધીઓને ફાંસીની સજા આપી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ૧૩મી માર્ચ ૨૦૧૪ના દિવસે ચારેય અપરાધી અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશની અપીલને ફગાવી દીધી હતી અને ફાંસીને માન્ય રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ પહોંચી હતી જ્યાં પણ અપરાધીઓને કોઇ રાહત મળી ન હતી અને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને માન્ય રાખી હતી. એડિશન સેશન જજ ધર્મેન્દ્ર રાણા દ્વારા અપરાધી મુકેશ કુમાર સિંહ (૩૨), પવન ગુપ્તા (૨૫), વિનય કુમાર શર્મા (૨૬) અને અક્ષય કુમાર (૩૧) સામે નવેસરથી ડેથ વોરંટ જારી કરાયું હતું.

         ડેથ વોરંટ ત્રીજી વખત તેમની સામે જારી કરાયું છે. ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપવા માટે સૌથી પહેલા તારીખ રખાઈ હતી. જેને મોકુફ કરવામાં આવી હતી. આને પહેલી ફેબ્રુઆરી સુધી મોકુફ કરાઈ હતી. ૧૭મી જાન્યુઆરીના આદેશ દ્વારા ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ ટ્રાયલ કોર્ટે ૩૧મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓની ફાંસીના આદેશને અમલી કરવા પર વધુ આદેશ ન આવે ત્યા સુધી મનાઈ હુકમ મુક્યો હતો કારણ કે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ તેમના દ્વારા કરાયો ન હતો. તિહાર જેલમાં વિનય ભૂખ હડતાળ પર હોવાનું જાણવા મળ્યું છે.

કમકમાટીભર્યો કેસ.....

૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ શું થયું

*    ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રાત્રે દિલ્હીમાં ગેંગરેપની ઘટના બની હતી

*    પેરામેડિકલની વિદ્યાર્થીનિ પર ચાલતી બસમાં કેટલાક નરાધમ દ્વારા અમાનવીય રીતે બળાત્કાર કરાયો હતો

*    વિદ્યાર્થિની પોતાના મિત્ર સાથે ઘરે જવા માટે બસમાં બેસી ગયા બાદ તેના પર અત્યાચાર કરાયો હતો

*    બનાવમાં તે એટલી હદ સુધી ઇજાગ્રસ્ત થઇ હતી કે તેનુ થોડાક દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ મોત થયું હતુ

*    ૩૧મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે તેના મોત બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો. ૧૩ દિવસ બાદ સિંગાપોરની હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું

*       એ વખતે હચમચી ઉઠેલી સરકારને તરત જ મહિલાઓ પર થતા અત્યાચાર કાયદામાં સુધાર કર્યા હતા

(7:23 pm IST)