Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

કુલભૂષણ જાધવના કેસમાં આજથી સુનાવણી શરૂ થશે

કુલભૂષણને બચાવી લેવા ભારત આક્રમક બન્યું : આજે ભારતની રજૂઆત બાદ ૧૯મીએ પાકિસ્તાન દલીલ કરશે : ભારત વતી સાલ્વે ૨૦મીએ ફરી જવાબો આપશે

નવી દિલ્હી, તા. ૧૭ : આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (આઈસીજે)માં ભારતીય નાગરિક કુલભુષણ જાધવના મામલામાં આવતીકાલથી જાહેર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલત સમક્ષ પોતપોતાની દલીલો રજૂ કરશે. બીજા વિશ્વ યુદ્ધ બાદ વિવાદોને ઉકેલવા આઈસીજેની રચના કરવામાં આવી હતી જેમાં જુદા જુદા દેશોના જટિલ વિવાદોને લઇ જવામાં આવ્યા બાદ ઉકેલવામાં આવે છે.

પાકિસ્તાની સેનાની કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં જાસુસી અને આતંકવાદના આરોપો ઉપર ભારતીય નાગરિક જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ૪૮ વર્ષીય જાધવને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ ભારતીય સરકારે આની સામે રજૂઆત કરી દીધી છે. ભારત સરકારે પાકિસ્તાનની કોર્ટે મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ૨૦૧૭માં મે મહિનામાં આઈસીજેમાં રજૂઆત કરી હતી. આઈસીજેની ૧૦ સભ્યોની બેંચે ૧૮મી મે ૨૦૧૭માં પાકિસ્તાનને આ મામલામાં ન્યાયિક નિર્ણય આવે ત્યાં સુધી જાધવને ફાંસી ન આપવા માટે કહ્યું હતું. આઈસીજે દ્વારા હવે આવતકાલથી સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ ૨૧મી ફેબ્રુઆરી સુધી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જાહેરમાં સુનાવણી થનાર છે. આ મામલામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે હરીશ સાલ્વેના ૧૮મી ફેબ્રુઆરી પહેલા દલીલો રજૂ કરવામાં આવનાર છે. પાકિસ્તાનના વરિષ્ઠ વકીલ ખાવર કુરૈશી ૧૯મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાન તરફથી દલીલો કરનાર છે. ત્યારબાદ ભારત ૨૦મી ફેબ્રુઆરીના દિવસે જવાબ આપશે. ઇસ્લામાબાદ ૨૧મી ફેબ્રુઆરીના દિવસે પોતાની અંતિમ દલીલો રજૂ કરશે. આઈસીજેનો ચુકાદો આજ વર્ષે આવી શકે છે પરંતુ આ મામલાને લઇને વિશ્વભરમાં નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતે કુલભૂષણને બચાવવા તાકાત લગાવી છે. બીજી બાજુ પાકિસ્તાને આડેધડ દલીલો રજૂ કરી છે.

(8:16 pm IST)