Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ઝારખંડ : અનેક યોજનાઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત

ઝારખંડની ધરતી ક્રાંતિવીરોની છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : એક જ દિવસમાં ત્રણ મેડિકલ કોલેજ શરૂ કરાયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હઝારીબાગ, તા. ૧૭ : ઝારખંડના હઝારીબાગ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભા દરમિયાન પુલવામા ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. શહીદ જવાનો અને તેમના પરિવારોને નમન કરીને હાલમાં દેશમાં લોકોના દેખાવોને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હુમલાના દોષિતોને છોડવામાં આવશે નહીં. મોદીએ આ ગાળા દરમિયાન હજારીબાગ, ડુમકા અને પલામુ મેડિકલ કોલેજના ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ૫૦૦ બેડવાળી ચાર હોસ્પિટલ સહિત રાજ્યના વિકાસ સહિત રાજ્યની અનેક વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, ઝારખંડની ધરતી ક્રાંતિની ધરતી છે. ક્રાંતિવીરોની ધરતી છે. તેઓ આ ધરતીના સપૂત શહીદ વિજય સોરેનને શ્રદ્ધાંજલિ આપે છે. તેઓ ગુમલામાં રહેલા તેમના પરિવારને પણ નમન કરે છે. તેમના બાળકો ખુબ હિંમતપૂર્વક આ કટોકટીનો સામનો કરી રહ્યા છે. એક કટિબદ્ધ રાષ્ટ્રની દ્રષ્ટિએ દરેક સ્તર એક વાલીની જેમ તેમના પરિવારની સુરક્ષા કરવાની જવાબદારી છે. આ પ્રસંગે મોદીએ લોકોને વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી આપી હતી. ઝારખંડ સહિત દેશના તમામ આદિવાસી ક્ષેત્રોમાં એક લવ્ય મોડેલ સ્કુલ કોલેજો ખોલવામાં આવી રહ્યા છે. આચાર્ય વિનોભાભાઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર ટ્રાઇબલ્સ અભ્યાસમાં પણ જુદી જુદી સુવિધાઓ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, ઝારખંડમાં જે કામ થયું છે તેને ગતિ આપવા માટે તેઓ પહોંચ્યા છે. મેડિકલ કોલેજ, બિલ્ડિંગો, હોસ્પિટલ, એન્જિનિયરિંગ કોલેજ, પાણીની સમસ્યાથી મુક્તિ અપાવતી પાઈપલાઈન, નનામી ગંગે પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણથી અહીંની મૂળભૂત સુવિધાઓ વધતા લોકોને લાભ થશે.

 

(8:11 pm IST)