Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાના સંદર્ભમાં આત્મરક્ષા માટે ભારત જો કોઈ પણ પગલું ભરશે તો અમેરિકા તેની સાથે છે: અમેરિકી NSA નું નિવેદન

વોશિંગ્ટન: પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાનોની શહાદત પર અમેરિકાએ ભરોસો વ્યક્ત કર્યો છે કે તેઓ ભારત સાથે છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટને ભારતમાં પોતાના સમકક્ષ અજીત ડોભાલને કહ્યું કે ભારત પુલવામા એટેક પર જે પણ કાર્યવાહી કરશે તેમાં અમેરિકા પૂરેપૂરો સહયોગ કરશે. અમેરિકી NSAએ સ્પષ્ટપણે કહ્યું કે આત્મરક્ષા માટે ભારત જો કોઈ પણ પગલું ભરશે તો અમેરિકા તેની સાથે છે.

જોન બોલ્ટને અજીત ડોભાલને ફોન કરીને પુલવામા એટેક પર દુ:ખ વ્યક્ત કર્યું અને આશ્વાસાન આપ્યું કે આતંક વિરુદ્ધની લડાઈમાં અમેરિકા પૂરેપૂરી રીતે ભારતની પડખે છે. જોન બોલ્ટને જણાવ્યું કે પુલવામા એટેક બાદ તેઓ બેવાર અજીત ડોભાલને ફોન કરી  ચૂક્યા છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે ભારત આત્મરક્ષામાં કોઈ પણ પગલું ઉઠાવે તો તેનો હક છે. અમેરિકા પૂરેપૂરી રીતે ભારતની પડખે છે.

આ અગાઉ વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અપીલ કરે છે કે તે પોતાની ધરતી પરથી આતંકી ગતિવિધિઓ ચલવનારા આતંકી સંગઠનોનું સમર્થન અને શરણ આપવાનું તરત બંધ  કરે જેનો એકમાત્ર હેતુ ક્ષેત્રમાં અવ્યવસ્થા, હિંસા અને આતંક ફેલાવવાનો છે.

હુમલાની નીંદા કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ શુક્રવારે કહ્યું કે હુમલાને અંજામ આપનારા અને  તેને પ્રાયોજિત કરનારા વિરુદ્ધ કેસ ચાલવો જોઈએ.

(12:06 pm IST)