Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કુલદીપસિંહ સેંગરની અરજી પર ચોથી મેના દિવસે સુનાવણી થશે

કુલદીપસિંહ સેંગરની અરજી પર જવાબ આપવા આદેશ કરાયો : સીબીઆઈને જવાબ આપવા માટે હાઈકોર્ટનો સ્પષ્ટ હુકમ

નવીદિલ્હી, તા. ૧૭ : દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૭ના ઉન્નાવ બળાત્કાર મામલામાં ભાજપના હકાલપટ્ટી કરવામાં આવેલા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની અરજી ઉપર સીબીઆઈ પાસેથી જવાબની માંગ કરી છે. સેંગરે આજીવન કારાવાસની સજાને પડકાર ફેંકીને હાઈકોર્ટમાં અપીલ કરી છે જેને લઇને તપાસ સંસ્થા સામે જવાબની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા થીંગરાએ સેંગરને ૨૫ લાખ રૂપિયાની રકમ અને ૬૦ દિવસમાં આટલી જ રકમ જમા કરવાની મંજુરી આપી દીધી છે. સેંગર તરફથી ૨૫ લાખ રૂપિયાની રકમ જમા કરવામાં આવશે જેમાંથી ૧૦ લાખ રૂપિયા કોઇપણ શરત વગર પીડિતા માટે જારી કરવામાં આવનાર છે. આ મામલાની સુનાવણી ચાર મે સુધી ટાળી દેવામાં આવી છે.

           સેંગરને અપહરણ અને રેપના કેસમાં દોષિત ઠેરવવામાં આવી ચુક્યા છે. ચોથી જૂન ૨૦૧૭ના દિવસે સેંગર ઉપર આક્ષેપ મુકવામાં આવ્યા હતા. મોડેથી રાયબરેલીમાં માર્ગ અકસ્માતમાં રેપ પીડિતાને જાનથી મારી નાંખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કુલદીપસિંહ સેંગરની સજા ઉપર સુનાવણી દરમિયાન તેમના વકીલોએ સમાજ સેવા માટે તર્ક આપ્યા હતા. સેંગર દશકોથી જાહેર જીવનમાં છે. સમાજ સેવા સાથે જોડાયેલા છે. લોકોના કલ્યાણ માટે અનેક કામો કરેલા છે. જો કે, કોર્ટની સમક્ષ તેમની કોઇપણ દલીલો ચાલી ન હતી. સેંગરની મુશ્કેલીઓ હાલમાં ઓછી થાય તેવી કોઇપણ શક્યતા દેખાઈ રહી નથી. આ મામલામાં ચોથી મેના દિવસે આગામી સુનાવણી હાથ ધરાશે.

(9:17 pm IST)