Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

નિર્ભયા કેસમાં ક્યારે શું બન્યું

નવેસરથી ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું

નવી દિલ્હી,તા.૧૭ :  સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા  ગેંગરેપ કેસમાં ચારેય દોષિતો માટે નવા ડેથ વોરંટની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ ગુનેગારોને હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે સવારે ૬ વાગે ફાંસી આપવામાં આવશે. ચારેયને ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપવામાં આવનાર હતી પરંતુ એક દોષિતે દયાની અરજી દાખલ કરી હતી જેના પરિણામ સ્વરુપે નવા ડેથ વોરંટ જારી કરવાની ફરજ પડી છે જેથી તારીખ પણ આગળ વધી છે. નિર્ભયા કેસનો ઘટનાક્રમ નીચે મુજબ  છે.

૧૬મી ડિસેમ્બર ૨૦૧૨

દિલ્હીના મુનીરકા વિસ્તારમાં ચાલતી બસમાં નિર્ભયા પર છ લોકોએ ગેંગરેપ ગુજાર્યો હતો જેથી દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ રેપ પીડિતા અને તેના સાથીને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી. મોડેથી નિર્ભયાનું મોત થયું હતું.

૨૯મી ડિસેમ્બર ૨૦૧૨

દેશભરમાં લોકોના આક્રોશ વચ્ચે ગંભીરરીતે ઇજાગ્રસ્ત રહેલી પીડિતાને સારવાર માટે સિંગાપોર મોકલી દેવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી દેશભરમાં નારાજગીનું મોજુ વધી ગયું હતું. લોકો જાહેરરસ્તા પર મેદાનમાં આવી ગયા હતા અને નરાધમોને અતિ કઠોર સજા કરવાની માંગ થઇ હતી.

૧૧મી માર્ચ ૨૦૧૩

જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે દબાણ વધતા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ તપાસનો સિલસિલો શરૂ થયો હતો. આ ગાળા દરમિયાન જ મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

૩૧મી ઓગસ્ટ ૨૦૧૩

આ સમગ્ર મામલામાં છ અપરાધીઓ પૈકી એક કિશોર હોવાથી તેને જુએનાઇલ આવાસમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ આરોપીને જુએનાઇલ કોર્ટ તરફથી ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ શખ્સ પણ ખુબ ખતરનાક હોવાથી તેને પુખ્તવયના તરીકે ગણીને તેની સામે કોઇ રાહત ન રાખવા અને કોઇ દયા ન દર્શાવવા માટે રજૂઆત કરાઈ હતી

૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩

નિર્ભયા ગેંગરેપ મામલામાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સાકેત કોર્ટે બાકી રહેલા ચાર અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ તમામ અપરાધીઓએ આ ચુકાદાની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

૧૩મી માર્ચ ૨૦૧૪

મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી પછી હાઈકોર્ટે આ અતિસંવેદનશીલ મામલામાં અપરાધીઓને કોઇપણ પ્રકારની રાહત આપી ન હતી અને ફાંસીની સજા અકબંધ રાખી હતી

૫મી મે ૨૦૧૭

ન્યાયિક પ્રક્રિયા હેઠળ આરોપીઓએ હાઈકોર્ટમાંથી ફાંસીની સજા મળી ગયા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અહીંથી પણ બળાત્કારીઓને કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી અને ફાંસીની સજા ઉપર સુપ્રીમ કોર્ટે મંજુરીની મહોર મારી દીધી હતી

૯મી જુલાઈ ૨૦૧૮

સુપ્રીમ કોર્ટે ચારેય નરાધમોને ફાંસીની સજા અકબંધ રાખ્યા બાદ ચારેયને ફેરવિચારણા અરજી દાખલ કરવાની જરૂર પડી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તેમની ફેરવિચારણા અરજીને ફગાવીને સજાને અકબંધ રાખી હતી

૯મી નવેમ્બર ૨૦૧૯

નિર્ભયા ગેંગરેપમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા આરોપી વિનય શર્મા તરફથી દયાની અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ ફગાવી દેવાઈ હતી

પહેલી ડિસેમ્બર ૨૦૧૯

દિલ્હી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને ગેંગરેપ મામલામાં અરજીને ફગાવી દેવા માટે ભલામણ કરી હતી જેને સ્વિકારી લેવાઈ હતી. છઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ સમક્ષ આ જધન્ય અપરાધીઓને કોઇપણ પ્રકારની દયા ન રાખવા માટે અપીલ કરી હતી

૭મી જાન્યુઆરી ૨૦૨૦

૭મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પટિયાલા હાઉસ કોર્ટે તમામ ચારેય નરાધમો સામે ડેથવોરંટ જારી કરીને ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે ૭ વાગે તિહાર જેલમાં ફાંસી આપવા માટે આદેશ કર્યો હતો

૧૭મી જાન્યુઆરી ૨૦૨૦

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાના દોષિતની દયાની અરજીને ફગાવી દીધી હતી. અપરાધી મુકેશ સિંહે દયાની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાંથી ક્યુરેટિવ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી

૧૭મી જાન્યુઆરી ૨૦૨૦

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતો સામે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. આ દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે સવારે છ વાગે ફાંસી આપવામાં આવશે. પહેલા આ તમામને ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપવામાં આવનાર હતી પરંતુ એકની દયાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ડેથ વોરંટ નવેસરથી જારી કરાયું છે. તારીખ પણ આગળ વધી ગઈ છે.

(7:37 pm IST)