Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

રાફેલ સહિત વિવિધ મુદ્દા પર નાણામંત્રી અરુણ જેટલીનો જોરદાર બ્લોગવાર

નોટબંધી, જીએસટી સહિતના મુદ્દા ઉપર પ્રહાર : કેટલાક લોકોનો જન્મ માત્ર વિરોધ કરવા માટે જ થયો છે

નવી દિલ્હી, તા. ૧૭ : કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગ મારફતે ફરી એકવાર આજે વિપક્ષ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. જેના કારણે વિપક્ષી દળો ચૂંટણીથી પહેલા સરકારને ભીંસમાં લઇ રહ્યા છે. નાણામંત્રીએ દાવા સાથે કહ્યું હતું કે, કેટલાક લોકો આરોગ્યના કારણે એનડીએ સરકારની સત્તામાં વાપસી ઇચ્છતા નથી. આવા લોકો સરકારની સામે સતત ખોટા પ્રચાર કરી રહ્યા છે. જેટલી પોતે પણ આ દિવસોમાં સારવાર અર્થે અમેરિકામાં છે પરંતુ જેટલી બજેટ પહેલા આવી પહોંચે તેવી શક્યતા છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જેટલીએ કહ્યું હતું કે, કેટલાક લોકો અમારી રાજકીય વ્યવસ્થામાં એવા છે કે જેમને લાગે છે કે, તેમનો જન્મ  જ શાસન માટે થયો છે. કેટલાક લોકો એવા છે જે લેફ્ટ અથવા તો અલ્ટ્રાલેફ્ટની વિચારધારાથી પ્રભાવિત છે. તેમના માટે એનડીએ સરકાર એમ પણ પૂર્ણરીતે સ્વીકાર કરવા લાયક નથી. આ ગાળા દરમિયાન એવા લોકો પણ સપાટી ઉપર આવ્યા છે જેમનું કામ વિરોધ પ્રદર્શન કરવાનું હોય છે. સરકારના વિરોધના નામ ઉપર કેટલાક લોકો પર એજન્ડા ચલાવવાના કામ કરવાનો આક્ષેપ કરતા જેટલીએ કહ્યું હતું કે, સતત ટિકા ટિપ્પણી કરવાની બાબત કેટલાક લોકો શોધતા રહે છે જે લોકો વિકાસ માટે છે તે વિકાસની વાતો કરે છે પરંતુ કેટલાક લોકો ખામીઓ શોધતા રહે છે. ૧૦ ટકા અનામતની વાત હોય, આધારની વાત હોય, નોટબંધીની વાત હોય, જીએસટીની વાત હોય, આરબીઆઈ અને સરકારના સંબંધ હોય, રાફેલ વિમાનની વાત હોય અથવા તો કોઇ મુદ્દા ન મળે તો સુપ્રીમ કોર્ટની પણ ટિકાટિપ્પણી કરતા રહે છે. જજ લોયાના મામલે પણ ટિકાટિપ્પણી કરતા રહે છે. જજ લોયાના કેસ પર ચુકાદાની ટિકા કરનારની પણ જેટલીએ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે જસ્ટિસ ચંદ્રચુડની બેંચે આ મુદ્દા ઉપર ચુકાદો આપ્યો ત્યારે લોકોએ સોશિયલ મિડિયા ઉપર તેની ટિકા કરી હતી. આ ચુકાદો ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ આપ્યો હોત તો કેવી પ્રતિક્રિયા રહી હતી. નાણામંત્રી ચાર જજની પત્રકાર પરિષદની ઘટનાને પણ દુખદ ગણાવી હતી. રાફેલ મુદ્દા ઉપર કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, બિનજરૂરીરીતે આને લઇને હોબાળો થઇ રહ્યો છે. વિપક્ષને ઘેરતા જેટલીએ કહ્યું હતું કે, સંસદથી લઇને માર્ગો સુધી કોંગ્રેસે સરકારની પ્રતિષ્ઠા ઉપર નુકસાન પહોંચાડવા માટે પ્રચારની કામગીરી હાથ ધરી હતી. સંસદમાં ચર્ચામાં તેઓ હારી ગયા હતા પરંતુ કોંગ્રેસ પાર્ટીએ રાફેલના મુદ્દે હજુ પણ હોબાળો જારી રાખ્યો છે. રાહુલ ગાંધી શરૂઆતથી જ રાફેલને લઇને મોદી સરકાર પર આક્રમક પ્રહારો કરતા રહ્યા છે.

(7:39 pm IST)