Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રોહિંગ્યા મામલે મ્યાંમાર - બાંગ્લાદેશ વચ્ચે સમજૂતીઃ ૨ વર્ષમાં સ્વદેશ પરત ફરશે

હાલમાં જે પરિવાર પાસે ઘર નથી તેમને અસ્થાયી ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે

ઢાકા તા. ૧૭ : બાંગ્લાદેશ અને મ્યાંમાર વચ્ચે હાલમાં જ એક સમજૂતી કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યાંમારમાંથી વિસ્થાપિત થયેલા રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાંમાર સ્વદેશ પરત બોલાવવા તૈયાર થઈ ગયું છે. આ પ્રક્રિયા આગામી બે વર્ષમાં પુરી કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.આપને જણાવી દઈએ કે, રોહિંગ્યા સામે મ્યાંમારની સેનાએ સૈન્ય કાર્યવાહી કર્યા બાદ હજારો રોહિંગ્યાઓએ શરણાર્થી તરીકે બાંગ્લાદેશમાં આશ્રય લીધો હતો. જેને પરત મ્યાંમાર મોકલવા બાંગ્લાદેશે બે વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે. જોકે બાંગ્લાદેશ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, રોહિંગ્યાઓને પરત મોકલવાની કામગીરી કયારથી શરુ કરવામાં આવશે. પરંતુ એ વાત પર સમજૂતી કરવામાં આવી છે કે, હાલમાં જે પરિવાર પાસે ઘર નથી તેમને અસ્થાયી ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે.બાંગ્લાદેશ તરફથી જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ ૫ ટ્રાંઝિટ કેમ્પ લગાવશે. જયાંથી રોહિંગ્યાઓને મ્યાંમાર સ્થિત બે રિસેપ્શન સેન્ટરો પર મોકલવામાં આવશે. મ્યાંમારની રાજધાનીમાં યોજાયેલી સંયુકત બેઠક બાદ બાંગ્લાદેશ સરકાર તરફથી ઉપરોકત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જોકે હજી સુધી મ્યાંમાર સરકાર તરફથી આ અંગે કોઈ સત્ત્।ાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.મ્યાંમાર સરકારના પ્રવકતાએ જણાવ્યું હતું કે, પરત ફરનારા રોહિંગ્યાઓએ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પાસ થવું પડશે તો જ તેમને નાગરિકતા આપવામાં આવશે. મ્યાંમારના મિનિસ્ટ્રી ઓફ લેબર, ઈમિગ્રેશન અને પોપ્યુલેશનની સ્થાયી સચિવે એક મુલાકાતમાં જણાવ્યું કે, મ્યાંમાર એક દિવસમાં ૧૫૦ લોકોનું વેરિફિકેશન કરશે. જેના માટે આગામી ૨૩ જાન્યુઆરીથી બે કેમ્પ લગાવવામાં આવશે.(૨૧.૧૦)

(11:44 am IST)