Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

દરિયાઈ જીવોનો ખજાનો ધરાવતા પિરોટન ટાપુને ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશેઃ ચાર વર્ષથી હતો પ્રતિબંધ

વાઈલ્ડલાઈફ અને એડવેન્ચરના શોખીન ગુજરાતીઓ માટે સારા સમાચાર : દરિયાઈ જૈવવિવિધતા માટે ઓળખાય છે જામનગરનો પિરોટન ટાપુ

નવી દિલ્હી, તા.૧૬: ગુજરાતમાં રહેતા વાઈલ્ડલાઈફના શોખીનો માટે એક સારા સમાચાર છે. પોતાની દરિયાઈ જૈવવિવિધતા માટે ઓળખાતો જામનગરમાં આવેલો પિરોટન ટાપુ નજીકના ભવિષ્યમાં સામાન્ય જનતા માટે ફરીથી ખોલવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા કારણોસર પાછલા સાડા ચાર વર્ષથી આ ટાપુ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરીને ફરીથી આ ટાપુને લોકો માટે ખોલવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

પિરોટન સ્થિત મરીન નેશનલ પાર્કના પૂર્વીય ટાપુનો વ્યાપ લગભગ ૩ વર્ગ કિલોમીટર છે. ઉલ્લેખનીય છે કે આ ટાપુ ભરતી વખતે આંશિક રીતે પાણીમાં સમાઈ જાય છે. કચ્છના રણમાં સ્થિત દરિયાકિનારાથી આ ટાપુ ૧૨ કિલોમીટર દૂર છે. નોંધનીય છે કે જામનગરના બેડી અને રોઝી પોર્ટ નજીક આ એકમાત્ર ટાપુ એવો હતો જેમાં મુલાકાતીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. આ ટાપુના પોર્ટની દેખરેખ Gujarat Maritime Board(GMB) દ્વારા કરવામાં આવી રહી છે.

વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ટાપુને ફરીથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે તો તેમની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપવામાં આવશે. આ ટાપુ પર મોબાઈલ નેટવર્કની સમસ્યા હોય છે. અહીં વીજળી પણ નથી અને ખાણી-પીણીની પણ કોઈ વ્યવસ્થા નથી. જો મુલાકાતીઓની સાથે અહીં કોઈ તાલીમબદ્ઘ ગાઈડ ના હોય અને તેમને અહીંના વાતાવરણની પૂરતી જાણકારી ના હોય તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વર્તમાનમાં અહીં કોઈ એવી પદ્ઘતિ નથી જેનાથી કોઈ પણ વ્યકિત ફસાઈ જાય તો અન્ય લોકોને મદદ માટે બોલાવી શકે.

મરીન નેશનલ પાર્કના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્સટ આર સેન્થિલ જણાવે છે કે, એકવાર લોકોની સુરક્ષાની ગાઈડલાઈનને મંજૂરી મળે પછી જ ટાપુને ખોલવામાં આવશે. અમે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, જીએમબી, પોલીસ અને જિલ્લા તંત્ર સાથે મળીને ગાઈડલાઈન તૈયાર કરીશું જેથી સુરક્ષાના તમામ પરિબળોને ધ્યાનમાં રાખી શકાય. જો કોઈ સંજોગોમાં રેસ્કયુ ઓપરેશનની જરુર પડે ત્યારે કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવશે. મુલાકાતીઓને ત્યાં સુધી પહોંચાડવા માટે જીએમબીની જેટીની જરુર પડશે.સમગ્ર બાબતમાં જિલ્લા તંત્રની દેખરેખ હોવી પણ જરુરી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાને કારણે તંત્રના લોકો વ્યસ્ત છે. એકવાર ચૂંટણી સમાપ્ત થઈ જાય પછી ગાઈડલાઈન્સ પર કામ કરવામાં આવશે. નોંધનીય છે કે બેડી, રોઝી અને નવા પોર્ટ પાસે આવેલા આ ટાપુ પર મરીન લાઈફનો ખજાનો છે. અહીં કરચલાની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે, આ સિવાય દરિયાઈ વીંછી, દરિયાઈ સાપ, ઓકટોપસ વગેરે જેવા દરિયાઈ જીવોનો વસવાટ છે. આટલું જ નહીં, પેલિકન જેવા દરિયાઈ પક્ષીઓ ટાપુની બાયોડાયવર્સિટીમાં વધારો કરે છે. નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા અહીંથી ઘૂસણખોરીની ફરિયાદો આવ્યા પછી મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(4:02 pm IST)