Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કાશ્મીરમાં વધુ બે આતંકીઓ ઠાર મરાયા: ડિસેમ્બર મહિનાના ૧૬ દિવસમાં ૧૨ આતંકીઓનો ખાત્મો બોલાવાયો: કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ ઘૂસી ગયા

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ સતત પાંચમાં દિવસે લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.  માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અમીર બશીર ડાર ઉર્ફે દાનિશ અને આદિલ અહેમદ શાન તરીકે થઈ છે.  બંને આતંકવાદીઓને ઠાર કર્યા પછી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને જ્યારે આ વિસ્તારમાં અન્ય કોઈ આતંકવાદીઓ હાજર ન હોવાની પુષ્ટિ થઈ, ત્યારે સુરક્ષાકર્મીઓ મૃતદેહ અને હથિયારો સાથે રવાના થઈ ગયા.
આ પહેલા બુધવારે સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ આતંકી ફિરોઝ અહમદ ડારને ઠાર માર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની ઘણી તક આપવામાં આવી હતી પરંતુ દરેક વખતે આતંકવાદીઓએ ગોળીઓથી જવાબ આપ્યો હતો.  અંધકાર અને નજીકમાં રહેતા લોકોની સુરક્ષાને કારણે સુરક્ષા દળોએ આખી રાત એન્કાઉન્ટર ચાલુ રાખ્યું હતું.  સવારે ફરી એકવાર આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ જ્યારે તેઓએ આ વખતે પણ હથિયાર મૂકવાનો ઇનકાર કર્યો, ત્યારે સુરક્ષા દળોએ ભારે હથિયારોનો ઉપયોગ કરીને બંને આતંકવાદીઓને ઠાર કર્યા.
જ્યારે ગત સપ્તાહે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.  પુલવામા જિલ્લામાં અથડામણમાં પ્રથમ એક આતંકવાદી માર્યો ગયો.  આ પછી બે આતંકવાદીઓ માર્યા ગયા.  પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.  માહિતી અનુસાર, ડિસેમ્બરમાં ૧૬ દિવસમાં ૧૨ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાંથી પુલવામામાં ૩, શોપિયાંમાં ૩, અવંતીપોરામાં ૩, શ્રીનગરમાં ૧, કુલગામમાં ૨ અને સુરનકોટમાં ૧ આતંકવાદીનો સમાવેશ થાય છે.

 

(10:21 am IST)